રાજકોટમાં મચ્છરજન્ય, પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળાનું ત્રિભેટે આક્રમણ, ડેંગ્યૂ, મેલેરિયા, ટાઇફોઇડ અને કમળો સહિત 1787 કેસ

  • June 09, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં રોગચાળો સતત વકરી રહ્યો છે. એક તરફ કોરોનાના કેસ દરરોજ મળવા લાગ્યા છે અને બીજી બાજુ શહેરમાં મચ્છરજન્ય, પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળાનું ત્રિભેટે આક્રમણ થયું છે.વાયરલ ઇન્ફેકશનના અસંખ્ય કેસ મળી રહ્યા છે. દરમિયાન રાજકોટ મહાપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જયેશ એલ. વકાણીએ આજરોજ જાહેર કરેલા વિકલી એપેડેમિક રિપોર્ટ અનુસાર શહેરમાં ડેંગ્યુ નો એક, મેલેરિયાનો એક, ટાઈફોઈડનો એક તેમજ કમળાના પાંચ કેસ મળ્યા છે તદઉપરાંત શરદી ઉધરસના ૭૧૯ અને તાવના ૮૪૮ તેમજ ઝાડા ઉલ્ટીના ૨૧૨ કેસ નોંધાયા છે. આ મુજબ કુલ ૧૭૮૭ કેસ નોંધાયા છે. જ્યારે ખાનગી તબીબી વર્તુળોના મતે મહાપાલિકાએ જાહેર કરેલા કેસ કરતા દસ ગણા વધુ કેસ મળી રહ્યા છે !


૨૦૮ ઘરમાં ફોગીંગ કરાયું 

મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ રોગચાળો અટકાવવા કરેલી કામગીરીની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ૨૩,૮૫૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ હતી તથા મચ્છરના ઉપદ્રવની ફરિયાદ મળતા ૨૦૮ ઘરમાં ફોગીંગ કરાયું હતું. ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પ્લેક્સ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. 


કોર્મશીયલ ૨૨૪ આસામીને નોટીસ આ૫વામાં આવી

આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૫૮ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૯ અને કોર્મશીયલ ૨૨૪ આસામીને નોટીસ આ૫વામાં આવી હતી.


પાણીજન્ય રોગોથી બચવા આટલું કરો

-પીવાના પાણીને ઉપયોગમાં લેતાં પહેલાં ૨૦ મિનિટ સુધી ઉકાળવું અને ત્યારબાદ જ પીવું

-પીવાના ૨૦ લીટર પાણીમાં ૧ ક્લોરીનની ગોળીનો ભૂકો કરીને દ્રાવણ બનાવીને નાખવું અને અડધા કલાક પછી જ પીવાના ઉપયોગમાં લેવું

-તમામ ટાંકી, કુવા વિગેરે સાફ કરાવી તેમાં દરરોજ આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીની સુચના મુજબ નિયત પ્રમાણમાં ટી.સી.એલ. (બ્લીચીંગ) પાવડરનું દ્રાવણ નાંખી ક્લોરીનેશન કરેલું પાણી જ પીવાના ઉપયોગમાં લેવું

-ઘરોની આજુબાજુ ગંદકી કરવી નહી, કચરાનો યોગ્ય નિકાલ કરવો

-ઠેર ઠેર એકઠાં થયેલા ઉકરડાનો નાશ કરવો અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવો

-વાસી ખોરાક અથવા પલડી ગયેલા અનાજનો ઉપયોગ કરવો નહી

-ખાધ પદાર્થોને ઢાંકીને રાખવા

-દૂધ ઉકાળીને પીવું

-ઝાડા-ઉલ્ટીની અસર ધરાવતાં દર્દીને તાત્કાલિક ઓ.આર.એસ.નું દ્રાવણ બનાવી પીવડાવો

-નજીકના આરોગ્ય કર્મચારી અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરી યોગ્ય સલાહ-સારવાર મેળવો

-ક્લોરીન ટેબ્લેટની જરૂરીયાત હોય તો નજીકના શહેરી પ્રાથમિક કેન્દ્રનો સંપર્ક કરવો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application