સરધારમાં પૂર્વ સરપંચ હત્યા કેસઃ મૃતક ભાગીયાને કામ માટે બહાર મોકલી તેની પત્ની પર નજર બગાડતો અને અડપલા કરતો

  • May 26, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરધારના પૂર્વ ઉપસરપંચ હરેશભાઇ સાવલિયાની તેમની જ વાડી ખાતે ત્રિકમના ઘા ઝીંકી ઘાતકી હત્યા નીપજાવી દેવામાં આવી હતી. આ હત્યામાં પોલીસે વાડીમાં ભાગીયુ રાખી ખેતમજુરીનું કામ કરનાર એમ.પી. ના શ્રમિકને ઝડપી લઇ હત્યાના બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. પૂર્વ સરપંચ મજુરની પત્ની સાથે અડપલાં કરતા તને ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.


સરધારના પૂર્વ ઉપસરપંચ હરેશભાઇ મોહનભાઇ સાવલિયા (ઉ.વ.53) ગુરુવારે રાત્રે નિત્યક્રમ મુજબ તેની જામફળ વાડીએ સૂવા ગયા હતા અને શુક્રવારે સવારે હરેશભાઇની વાડીએ લાશ મળી આવી હતી.

રાજકોટ ક્રાઇમ બ્રાંચ ડીસીપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બી બી બસીયાના માર્ગદર્શન હેઠળ અને પીઆઈ એમ આર ગોંડલીયા, પીઆઈ એમ એલ ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.ડી.ડોડિયા સહિતની ટીમ મધ્યપ્રદેશ દોડી ગઇ હતી અને મનોજને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના દૂધીરપટ ગામેથી ઝડપી લઇ તેને રાજકોટ લાવ્યા હતાં.


આરોપીની  પત્નીનો હરેશ સાવલિયાએ હાથ પકડ્યો હતો

હત્યાના આરોપસર ઝડપાયેલા મનોજ પલાસે હત્યાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. મનોજે કેફિયત આપી હતી કે, પોતે છ મહિનાથી તેની પત્ની અને બાળકો સાથે હરેશ સાવલિયાની વાડીએ ખેતમજૂરી કરતા હતા. હરેશ સાવલિયા તેને કોઇને કોઇ કામ સબબ અલગ અલગ વાડીએ અથવા તો સરધારની બહાર મોકલી દેતો હતો. અગાઉ બે વખત તે વાડીએ અચાનક પહોંચી ગયો ત્યારે તેની પત્નીનો હરેશ સાવલિયાએ હાથ પકડ્યો હતો તે જોવા મળ્યું હતું.


વાડીમાલિક હરેશની હત્યા કરવાનું મનોમન નક્કી કરી નાંખ્યું હતું

જે બાબતે તેની પત્નીની પૃચ્છા કરતાં પત્નીએ કહ્યું હતું કે, વાડી માલિક હરેશ સાવલિયા તેમની ગેરહાજરીમાં વાડીએ પહોંચતો હતો અને કોઇને કોઇ રીતે તેની પત્નીની નિકટ જતો હતો અને શારીરિક અડપલાં કરતો હતો, તેમજ બીભત્સ માંગ પણ કરતો હતો.હરેશ સાવલિયા ખેતમજૂરની પત્નીને મોબાઇલમાં મેસેજ પણ કરતો હતો. પત્નીની વાત સાંભળ્યા બાદ મનોજ સમસમી ગયો હતો અને વાડીમાલિક હરેશની હત્યા કરવાનું મનોમન નક્કી કરી નાંખ્યું હતું. પોલીસે આરોપી મનોજને બનાવસ્થળે લઇ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.


હત્યા પૂર્વે પત્ની- પિતાને વતનમાં મોકલી દીધા હતા

પોલીસ તપાસમાં એવી હકિકત સામે આવી હતી કે, પૂર્વ સરપંચ હરેશ સાવલિયાની અન્ય એક વાડીમા મજૂરી કરતો પરિવાર લગ્ન પ્રસંગમાં તેના વતન જતાં પંદરેક દિવસથી હરેશે મનોજ અને તેના પરિવારને વાડીએ કામ કરવાનું કહ્યું હતું. મનોજે પોતાની પત્ની અને બાળકોને વતન મોકલી દીધા હતા અને હત્યાના બે દિવસ પહેલાં તેના પિતાને પણ રવાના કરી દીધા હતા. શુક્રવારે વહેલી સવારે મનોજે વાડી માલિક હરેશ સાવલિયાની ત્રિકમનો ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application