કટારીયા શોરૂમની કપાત મુદ્દે બ્રિજનું કામ ટલ્લે

  • June 12, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં ગૌરવપથ કાલાવડ રોડ ઉપરની કટારીયા ચોકડીએ ફ્લાય ઓવર બ્રિજ અને અન્ડર પાસ પ્રોજેક્ટનું ગત તા.૨૬ માર્ચના રોજ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું પરંતુ રૂ.૧૫૦ કરોડના આ બ્રિજ પ્રોજેક્ટનો પાયો આગામી તા.૨૬ જુનથી ખોદાય તો ખોદાય તેવી સ્થિતિ છે. દરમિયાન બ્રિજ પ્રોજેક્ટનું કામ વિલંબિત થવા મુદ્દે એવી વિગતો સામે આવી છે કે કટારીયા શોરૂમએ કપાત મામલે વાંધો લેતા કામ શરૂ થઇ શક્યું નથી અને આ પ્રકરણ મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચ્યું છે. હવે કમિશનરના નિર્ણય બાદ આગળની કાર્યવાહી શરૂ થશે તેમ જાણવા મળે છે.

વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, બ્રિજ પ્રોજેક્ટના સર્વિસ રોડના કામે કપાતમાં જતી મિલકતોના મોટા ભાગના માલિકો સહમત થઇ ગયા છે અને અમૂકે તો જાતે જ પોતાની કમ્પાઉન્ડ વોલ તોડી એલઓપી અનુસાર કપાતમાં જતી જગ્યા છોડી દીધી છે, જ્યારે કટારીયા શોરૂમની સામેના ભાગે ટીપી પ્લોટમાં ૨૫ જેટલા મકાનોનું દબાણ હતું તેને નોટિસ આપીને તંત્રએ ડિમોલિશન કર્યું છે.

ઉપરોક્ત બ્રિજ પ્રોજેક્ટમાં બ્રિજની બન્ને બાજુએ ૭.૫૦ મીટરનો સર્વિસ રોડ મુકવામાં આવ્યો છે અને તે સર્વિસ રોડ અંતર્ગત કટારીયા શો રૂમની મિલકત કપાતમાં આવે છે. કપાતમાં જતી મિલકતના વળતર માટે મહાપાલિકા ત્રણ વિકલ્પો આપે છે જેમાં જમીન સામે જમીન, જમીન સામે રોકડ અને જમીન સામે એફએસઆઇ. જમીન સામે જમીનના વિકલ્પમાં લીઝ હોલ્ડથી જમીન અપાય છે તેના બદલે ફ્રી હોલ્ડથી જમીન અપાય તેવા મતલબની માંગણી કટારીયા શોરૂમ તરફથી કરાયાનું મહાપાલિકાના વર્તુળોએ જણાવ્યું હતું.

કટારીયા શોરૂમની કપાતનો મામલો સિટી એન્જીનિયર લેવલથી ટાઉન પ્લાનિંગ ઓફિસર સમક્ષ અને ત્યાંથી હવે મ્યુનિસિપલ કમિશનર લેવલ સુધી પહોંચ્યો છે. હવે આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી નિર્ણય થયા બાદ બ્રિજ પ્રોજેક્ટનું કામ આગળ વધે તેમ હોવાનું જાણવા મળે છે. હાલ તો મ્યુનિ.કમિશનર રજા ઉપર હોય સોમવારે તેઓ આવ્યા બાદ મામલો આગળ ધપે તેવી શક્યતા છે. જ્યાં સુધી શોરૂમની કપાત મામલે નિર્ણય ન થાય ત્યાં સુધી બ્રિજનું તેમજ ખાસ કરીને બ્રિજના સર્વિસ રોડનું કામ આગળ ધપી શકે તેમ નહીં હોવાનું જાણવા મળે છે.

આ અંગે રાજકોટ મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર કે.આર.સુમરાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, કટારીયા શોરૂમ કપાત મામલે રજૂ થયેલ વાંધો-માંગણી ટીપી બ્રાન્ચ સુધી આવ્યા બાદ આ માટેના નિર્ણય અર્થે ફાઇલ મ્યુનિસિપલ કમિશનરને રવાના કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.૨૬-૩-૨૦૨૫ના રોજ મુખ્યમંત્રીના હસ્તે કટારીયા ચોકડી બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું પરંતુ આજ દિવસ સુધી આ બ્રિજ પ્રોજેક્ટનું જનતા નજરે નિહાળી શકે તે પ્રકારનું કામ શરૂ થયું નથી. જો કટારીયા શોરૂમ કપાત મામલે સમયસર નિર્ણય લેવાઇ જશે તો આગામી તા.૨૬ જુનથી બ્રિજ પ્રોજેક્ટનો પાયો ખોદાય તો ખોદાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાતમુહૂર્તના તબક્કેથી જ વિલંબિત થયો હોય તેવો કદાચ આ રાજકોટનો પ્રથમ ઓવરબ્રિજ પ્રોજેક્ટ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application