આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરતા સીએમ: સિંદૂરનો છોડ રોપ્યો

  • June 07, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ખાતે રૂ.૫.૯૦ કરોડના ખર્ચે નવનિર્મિત ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી અને એક્ઝીબીશન હોલનું આજે ગત સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તકતી અનાવરણ અને રીબન કટિંગ કરીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કલાકારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે, કલાજગતને શાનદાર આર્ટ ગેલેરીના રૂપમાં મળેલી અપ્રતિમ ભેટ બદલ આર્ટીસ્ટ સમુદાય દ્વારા સરકારનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે વિકાસની સાથેસાથે કલા અને સંસ્કૃતિની વિરાસતને પણ રાજકોટ સાચવી રહ્યું છે. કળાના માધ્યમથી સમાજનું સાચું ચિત્રણ રજૂ કરવાની તાકાત કલાકારો પાસે છે. અહીં કલાકારોનો રાજીપો જોઈને સંતોષ થાય છે.

આ સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને શહેરી વિકાસનું પેઇન્ટિંગ આપીને તેમનું અભિવાદન કરાયું હતું. વરિષ્ઠ કલાકારો કિશોરભાઈ ત્રિવેદી, ઉમેશભાઈ ક્યાડા, મીતાબેન ભટ્ટ, વિરેશભાઈ દેસાઈ અને સુરેશભાઈ રાવલએ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં આર્ટ ગેલેરીનું પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. કળા ક્ષેત્રના વિદ્યાર્થી શિવાંગીબેન હરખાણી સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેના સંસ્મરણો અને તેમની વિશેષતા અંગે મુખ્યમંત્રી નિખાલસતાથી વાતચીત કરી હતી. આ તકે વરિષ્ઠ કલાકારો, યુવા કલાકારો, કળા ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને કુલ ૫૨ જેટલા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન દિવ્યાબેન ઠક્કરે કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટ ગેલેરીના પરિસરમાં સિંદૂરના છોડનું વાવેતર કર્યું હતું. મુખ્યમંત્રીએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ ગેલેરીની મુલાકાત લઈને પેઈન્ટિંગ્સ નિહાળીને કલાકારોની કલાને બિરદાવી હતી તેમજ ગેલેરીનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, સાંસદો પરસોત્તમભાઈ રુપાલા, રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ વિક્રાંત પાંડે, જિલ્લા કલેકટર પ્રભવ જોષી, મ્યુનિસિપલ કમિશનર તુષારભાઈ સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, ડી.સી.પી. જગદીશ બાંગરવા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ ભટ્ટ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા અને વિરેન્દ્રસિંહ ઝાલા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શહેર ભાજપ અગ્રણી અગ્રણી રાજુભાઈ ધ્રુવ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની અને ચેતનભાઈ નંદાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.


નવનિર્મિત આર્ટ ગેલેરીમાં સુવિધાઓ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૫.૯૦ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલી સેન્ટ્રલી એ.સી. આર્ટ ગેલેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ૫૦૮૦ ચોરસ ફૂટ કાર્પેટ એરિયા તથા ફર્સ્ટ ફ્લોર પર બે અલગ અલગ ૨૦૦૦ ચોરસ ફૂટ કાર્પેટ એરિયા તથા ૬૪૫ ચોરસ ફૂટ કાર્પેટ એરિયામાં કુલ ચાર એક્ઝીબીશન હોલ બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત આર્ટ ગેલેરીમાં આકર્ષક લાઈટિંગ, ફાયર સિસ્ટમ, લીફ્ટ. સ્ટોર રૂમ, ટોઇલેટ બ્લોકસ, સિક્યુરિટી રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

એક્ઝિબિશન હોલનું નિર્માણ

નવનિર્મિત આર્ટ ગેલેરી સાથે એક્ઝિબિશન હોલનું પણ નિર્માણ કરાયું છે. રાજકોટમાં આર્ટિસ્ટ અને તેમના ગ્રુપ તેમજ અન્ય શહેરોના કલા જગતના લોકો દ્વારા પણ અત્રે આખું વર્ષ સમયાંતરે એક્ઝીબીશનનું આયોજન થતું હોય છે. રાજકોટમાં કલા જગત અને અન્ય સમૂહોના ઉત્સાહમાં વૃદ્ધિ થાય તેવી આ નવી આર્ટ ગેલેરી તેઓને અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ બનાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News