ઉનાળું વેકેશન છતાં યાત્રાધામ દ્વારકામાં પ્રવાસીઓનો ઘટાડો
સામાન્ય રીતે દર વર્ષે ઉનાળું વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં યાત્રીકો તથા આસપાસના શિવરાજપુર બીચ સહિતના ટુરીસ્ટ આકર્ષણોને લીધે સહેલાણીઓનું ઘોડાપુર જોવા મળતું હોય છે. પરંતુ આ વર્ષે ગત સપ્તાહમાં ભારત પાકીસ્તાન વચ્ચેના તંગદીલીભર્યા વાતાવરણને લીધે સલામતીની દ્રષ્ટિએ સહેલાણીઓએ દ્વારકા પ્રવાસ ટાળ્યો છે યા તો મુલત્વી રાખ્યો છે જેના કારણે ઉનાળું વેકેશન ચાલુ હોવા છતાં દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જયોતિર્લિંગ, ગોપી તળાવ, રૂકિમણી મંદિર, શિવરાજપુર બીચ સહિતના યાત્રાધામ તથા પ્રવાસન સ્થળો પર યાત્રીકો તથા સહેલાણીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહયો છે.
તાજેતરમાં પૂનમ વખતે ભાવિકોનો વ્યાપક ઘસારો જોવા મળ્યો હોય ફરીથી યાત્રીકોનો પ્રવાહ ધમધમવાની આશા જાગી હતી પરંતુ હાલમાં ગત વર્ષોની સાપેક્ષમાં ઓછા ટુરીસ્ટ જોવા મળી રહયા છે. હોટેલ સંચાલકો તથા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓએ હજુ પણ ઉનાળું વેકેશનના ત્રણ-ચાર અઠવાડિયા બાકી રહયા હોય યાત્રાળુંઓનો પ્રવાહ વધે તેવી આશાવાદ વ્યકત કર્યો છે.