કલ્પના તારા વગર મારો રાજુ કેવી રીતે જીવશે, તુ પાછી આવી જા, પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલી મહિલાની અંતિમયાત્રામાં હૈયાફાટ રૂદનના દૃશ્યો સર્જાયા

  • June 15, 2025 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિના મૃતદેહને આજે અમદાવાદથી વડોદરા માંજલપુર વિસ્તારમાં આવેલા તેમના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. અહીં મૃતદેહ આવતાં જ સૌ કોઈની આંખમાં આંસુ હતા. પ્રજાપતિ પરિવાર હિબકે ચડ્યો હતો. કલ્પનાબેનના સાસુ ચૌધાર આસુંએ રડી રહ્યાં હતા અને કહી રહ્યાં હતા કે, 'તું કેમ જતી રહી મારા રાજુને એકલા મુકીને, તારા વગર મારો રાજુ કેવી રીતે જીવશે, તુ પાછી આવી જા'.


અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો મોટી પડ્યા હતા. ધનલક્ષ્મી કોમ્પ્લેક્સથી માંજલપુર સ્મશાન સુધી તેમની અંતિમયાત્રા નીકળી હતી અને માંજલપુર સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમયાત્રામાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને સ્થાનિક કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા.


પહેલીવાર વીઝા મળતાં દીકરાને મળવા જતા હતા

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના સમયે પ્લેનમાં બેઠેલા વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા કલ્પનાબેન પ્રજાપતિ લંડનમાં રહેતા તેમના દીકરાને મળવા માટે નિકળ્યા હતા. પહેલીવાર વિઝા મળ્યા હોવાથી દીકરાને મળવા લંડન જવા નીકળ્યા હતા. તેમના પતિ રાજેન્દ્રભાઈ અને નાનો પુત્ર અમદાવાદ એરપોર્ટ પરથી મૂકીને અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ પાસે પહોંચ્યા પછી પ્લેન ક્રેશની માહિતી મળી હતી, ત્યારબાદ તેઓ અમદાવાદ પરત ગયા હતા. જ્યાં પહોંચતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે પ્લેનમાં બેઠેલા 242 લોકો પૈકી 241 લોકોના મોત થયા હતા. જેમાં કલ્પનાબેનનો પણ સમાવેશ થતો હતો.​​​​​​​


DNA મેચ થતાં આજે કલ્પનાબેનનો મૃતદેહ પરિવારને સોંપ્યો

કલ્પનાબેને ગળામાં ચેન અને બ્રેસલેટ પહેર્યું હતું. તેના આધારે પરિવારજનો તેમને હોસ્પિટલમાં શોધતા હતા, પરંતુ કલ્પનાબેન ક્યાંય મળ્યા નહોતા. પિતા પુત્રએ 170થી વધુ મૃતદેહ જોયા હતા જ્યાં અન્ય સેંકડો મૃતદેહના પોટલાઓ બાંધીને મુકેલા હતા, પરંતુ કલ્પનાબેન ક્યાંય મળ્યા નહોતા. છેવટે DNA મેચ થતાં આજે કલ્પનાબેનનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.


સવારે પાંચ વાગ્યે મૃતદેહ લઇને અમદાવાદથી નીકળ્યા હતા

સ્થાનિક દિવ્યાંગ ગાંધીએ જણાવ્યું હતું કે, રાત્રે બે વાગ્યે વડોદરાથી નીકળીને વહેલી સવારે ચાર વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ તમામ ડોક્યુમેન્ટ આપી દેવામાં આવ્યા હતા અને તેમની વસ્તુઓ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ વહેલી સવારે પાંચ વાગ્યે પોલીસ અને એર ઇન્ડિયાના સ્ટાફ સાથે વડોદરા આવા નીકળ્યા હતા અને સવારે 7:00 વાગ્યે વડોદરા પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application