સ્વચ્છતા ત્યાં પ્રભુતાના લીરેલીરાઃ તંત્ર વામણું પૂરવાર થઇ રહ્યું છે...
કેન્દ્ર સરકાર,રાજ્ય સરકાર સ્વચ્છતા અંગે ગમે તેટલા ઢોલ પીટે પવિત્ર યાત્રાધામ દ્વારકાના શાક માર્કેટ વિસ્તારને કોઇ ફેર પડતો નથી.
દ્વારકા નગરપાલિકા દ્વારા સાફ સફાઈના અભાવના કારણે સમગ્ર વિસ્તાર દુર્ગંધમય બન્યો છે, લતાવાસીઓને પસાર થતી વેળાએ નાક પર રૂમાલ રાખીને પસાર થવું પડે છે.
આ બાબતે દિનેશભાઈ ચંદારાણા નામના જાગૃત નાગરિક તથા અન્યો દ્વારા ચીફ ઓફીસરને અનેક વખત લેખીત-મૌખીક રજૂઆત કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્વચ્છતાના અભાવ અને ગંદકીના કારણે રોગચાળાની સંભાવના દર્શાવી રહી છે, બીજી તરફ શાકભાજીની રેકડીઓવાળાના લીધે સવારે સાતથી બપોરે એક વાગ્યા સુધી રસ્તો પણ બ્લોક થઈ જાય છે. રખડતા ઢોરોનો પણ અસહ્ય ત્રાસ વર્તાઈ રહ્યો છે.
દ્વારકામાં શાકમાર્કેટ વિસ્તારના લતાવાસીઓને ગંદકીથી ગળા સુધી આવી ગયા છે, દ્વારકા નગરપાલિકા આ અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી કરે અને ગંદકી મુકત શાક માર્કેટ વિસ્તારને કરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.