અદ્યતન ડેટાના આધારે કરાયેલ પશુધનની ગણતરી ચારાની આવશ્યકતા, રસીકરણ, કૃમિનાશક કામગીરી તેમજ નીતિ વિષયક નિર્ણય લેવામાં ઉપયોગી થશે: પશુધનની પાંચ વર્ષ પહેલા થયેલ ગણતરીમાં જામનગર જિલ્લામાં ૮.૪૨ લાખ પશુઓ નોંધાયા હતા
કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે કરવામાં આવતી પશુધન વસ્તી ગણતરી અંતર્ગત આ વર્ષે પણ પશુઓની ગણતરી કરી તેનો ડેટા સંગ્રહ કરવામાં આવનાર છે. ૨૫મી ઓક્ટોબરના રોજ જામનગર જિલ્લામાં સૌ પ્રથમવાર મોબાઈલ એપથી પ્રારંભ કરવામાં આવનાર આ ૨૧મી પશુધન વસ્તી ગણતરીને લઈને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે.
પશુધન વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારત દેશના ચાર રાજ્યોમાં ગત જુલાઈ માસમાં પાયલોટ સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં એકમાત્ર જામનગર જિલ્લાની પસંદગી થઈ હતી. આ પાયલોટ સર્વેમાં શહેરી વિસ્તાર તરીકે કાલાવડ નગરપાલિકાના વોર્ડ નં.૩ અને ગ્રામ્ય વિસ્તાર તરીકે જોડિયા ગામમાં પ્રાયોગિક ધોરણે પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. ૨૫મી ઓક્ટોબરથી શરુ થનાર ૨૧મી પશુધન વસ્તી ગણતરીને અદ્યતન ડેટાના આધારે પશુધનની વિવિધ જાતોની સંખ્યા નક્કી થવાથી ચારાની આવશ્યકતા, રસીકરણ, કૃમિનાશક કામગીરી તેમજ નીતિ વિષયક બાબતોના નિર્ણય લેવામાં ઉપયોગી થશે. આ વર્ષે ૨૧મી પશુધન વસ્તી ગણતરીમાં વિચરતા પશુપાલકોના પશુઓ ઉપરાંત પાંજરાપોળ, ગૌશાળા અને ડેરી ફાર્મનાં પશુઓને પણ આવરી લેવામાં આવશે. જામનગર જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડૉ.તેજસ શુક્લના જણાવ્યા મુજબ, પાંચ વર્ષ બાદ શરુ થનાર પશુધનના ડેટા એકત્ર કરવાની કામગીરી સંપૂર્ણપણે ડીજીટલ સ્વરૂપમાં મોબાઈલ એપ, વેબ એપ અને ડેશબોર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવશે. આ કામગીરી માટે નોડલ અધિકારીઓની નિમણૂક થયેલી છે.
જામનગર જિલ્લામાં શહેર સહિત છ તાલુકાઓના તમામ ગામોમાં ૯૨થી વધુ ગણતરીદારો જિલ્લા નોડલ અધિકારીના માર્ગદર્શનમાં ઘરે ઘરે જઈ ઓલાદવાર પશુઓની ગણતરી હાથ ધરશે અને પશુઓની નોંધણી કરી રીપોર્ટ કરશે. આ પશુધન વસ્તી ગણતરીને લઈને જિલ્લાના તમામ પશુપાલકો દ્વારા પૂરી માહિતી અપાય અને જરૂરી સહકાર પૂરો પડાય તેવો અનુરોધ છે.
ઉલ્લેખનીય છે કે પશુ વસ્તી ગણતરી અંતર્ગત શહેર અને ગ્રામ્ય કક્ષાએ પાંચ વર્ષ પહેલા થયેલ ગણતરીમાં ગ્રામ્યમાં ૧.૫૧ લાખથી વધુ અને શહેરમાં ૧.૯૮ લાખ મળી જિલ્લામાં ૩.૫૦ લાખ ઘરોનું સર્વેક્ષણ કરાયું હતું. અગાઉ થયેલ ૨૦મી પશુ ગણતરીમાં જિલ્લામાં સૌથી વધુ ૨.૧૪ લાખથી વધુ ઘેટાં, ૧.૬૨ લાખથી વધુ ભેંસ, ૧.૪૩ લાખથી વધુ મરઘા, ૧.૩૯ લાખથી વધુ ગાય, ૧.૩૦ લાખથી વધુ બકરાં, ૨૫,૮૫૬ રખડતી ગાય, ૨૪,૧૫૮ રખડતા શ્વાન, ૧૧૧૫ ઊંટ, ૬૮૧ ઘોડા, ૨૩૯ સસલા, ૫૭ ગધેડા અને ૫૩ ડુક્કર સહિત ૮.૪૨ લાખ પશુઓની નોંધણી થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોસ એન્જલસમાં હિંસાની આગ વધુ ભડકી, શા માટે વિરોધ?
June 09, 2025 10:10 AMદ્વારકા પીજીવીસીએલના બે ડીવીઝનમાં કાયમી સ્ટાફની નિમણૂંક કરવા માંગ
June 09, 2025 10:08 AMકોઈ એક સંગઠનને આઝાદી માટે જશ આપી શકાય નહીં : ભાગવત
June 09, 2025 10:08 AMઆ રાજ્યમાં સરકાર વધુ બાળકો પેદા કરવા માટે નાણાકીય સહાય આપશે
June 09, 2025 10:06 AMઓસ્ટ્રેલિયામાં 6 દિવસથી ગુમ હળવદના યુવકની લાશ શંકાસ્પદ અવસ્થામાં મળી
June 09, 2025 10:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech