કેન્દ્ર સરકારની સુચના મુજબ રાજય સરકાર દ્વારા તમામ યાત્રાધામોનો વિકાસ પુરપાટ ઝડપે થઇ રહ્યો છે, ત્યારે દ્વારકાધીશ મંદિરની આસપાસ વર્ષોથી ગેરકાયદે ખડકાયેલા મિલ્કતધારકોને તંત્ર દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે.
રાજય સરકાર દ્વારા દ્વારકાધીશ મંદિરે કોરીડોર બનાવવાનો આયોજન ચાલી રહ્યું છે, જે સંદર્ભે તંત્ર દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે ખડકાયેલા ૧૦ મિલ્કત ધારકોને નોટીસ પાઠવવામાં આવી છે. સાથોસાથ તંત્ર દ્વારા નવા બાંધકામ અને બાંધકામ થઇ રહેલી સાઇટો પર સર્વે કરવામાં આવી રહ્યો છે, ભવિષ્યમાં દ્વારકાધીશ મંદિરે કોરીડોર બનતા ભકતજનોને આવનજાવનમાં અને દર્શન કરવામાં ઘણી સરળતા રહેશે.
દેવભુમિ દ્વારકા ખાતે ટ્રાફિકની સમસ્યા વાર-તહેવારે વધારે જોવા મળે છે, ખાસ કરીને આઠમ, ફુલડોલ ઉત્સવ, અમાસ, પૂનમ વગેરે દિવસોએ રોજ કરતા ત્રણથી ચાર ગણો ટ્રાફિક સમગ્ર દ્વારકામાં જોવા મળે છે, આ ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે તંત્રએ કમર કસી છે, જેના ભાગરુપે દ્વારકા શહેર તેમજ હાઇવે પર ગેરકાયદે સરકારી જમીન પર ખડકાયેલ મકાનો તેમજ હોટલો દ્વારા કરવામાં આવેલ દબાણો પર આગામી દિવસોમાં ડીમોલેશનની કાર્યવાહી થવાની સંભાવના માહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.