ભાણવડના વિજયપુર ગામમાં એક કરૂણ દૃશ્ય સામે આવ્યું, જ્યાં એક નર શિયાળ લકવાગ્રસ્ત અવસ્થામાં મળી આવ્યો. સ્થાનિક રહેવાસીઓએ તરત જ ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટને જાણ કરી.
ભણાવડના એનીમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ અશોકભાઈ ભટ્ટ તથા તેમની ટીમે તાત્કાલિક પ્રતિસાદ આપતાં શિયાળનું રેસ્ક્યુ કર્યું અને તેને ભાણવડ સ્થિત શિવ બળદ આશ્રમ ખાતે લઈ જવામાં આવ્યું. આશ્રમમાં પશુ ચિકિત્સકોની દેખરેખ હેઠળ શિયાળની વિસ્તૃત તપાસ કરવામાં આવી અને યોગ્ય સારવાર શરૂ કરવામાં આવી.
આ માનવતાભરી કાર્યવાહીમાં શિવ બળદ આશ્રમના મેરામણભાઈ ભરવાડ, વિશાલ ભરવાડ અને વિજય જોડ ઉપરાંત માડમ ટ્રસ્ટના નિષ્ણાત પશુ ચિકિત્સકો ડો. શિવમ વિસાવાડિયા અને ડો. દત્ત દેસાઈએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. શિયાળની સ્થિતિમાં સુધારો થયા બાદ તેને તેના કુદરતી આવાસ બરડા જંગલમાં મુક્ત કરવાની યોજના છે.
આ ઘટના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટની મુંગા પશુઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે, જે સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.