જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જામનગરના દરબારગઢ સર્કલ ઉપરાંત બર્ધનચોક વિસ્તારમાં ગઇકાલે ફરીથી દબાણ હટાવ ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી. જે સમયે ધંધાર્થીઓ અને તંત્ર વચ્ચે થોડીવાર માટે ઘર્ષણ થયું હતું.
સિટી એ. ડિવિઝનના પોલીસ બંદોબસ્તની વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને કેટલાક વેપારીઓના લાકડાના ટેબલ, પ્લાસ્ટિકની ખુરશીઓ, સ્ટુલ લોખંડની ઝાળી વગેરેએ કબજે કરી લઈ એક ટ્રેક્ટરમાં ભરીને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી છે.
આ ઉપરાંત જામનગરના સાધના કોલોની માર્ગ પર કેટલાક ધંધાર્થીઓ દ્વારા સાંજના સમયે રેકડી જાહેર માર્ગ પર ધંધો કરવા ખડકાઈ જતા હોવાથી આજે મોડી સાંજે એસ્ટેટ શાખા ની ટિમ પહોંચી હતી, અને રેકડી સહિતના અલગ અલગ દબાણો દૂર કર્યા હતા, અને તમામ સામાન જપ્ત કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.