દિવાળી હોય કે ગણપતિ મહોત્સવ, ભારતમાં બનેલી વસ્તુઓ જ વાપરો, આપણા લોકોને જ કમાણી થવી જોઈએઃ PM મોદી

  • May 26, 2025 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, સવારે વડોદરામાં ભવ્ય રોડ શો કરી દાહોદ પહોંચ્યા હતા. તેઓએ દાહોદમાં 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું છે. તેમજ વેરાવળથી સાબરમતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. બાદમાં દાહોદમાં સભાને સંબોધીત કરી રહ્યા છે.  તેઓએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર એક સૈન્ય કાર્યવાહી નથી. તે આપણા ભારતીયના સંસ્કારો અને આપણી ભાવનાઓની અભિવ્યક્તિ છે. આતંક ફેલાવવાવાળાઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે મોદી શું કરી શકે છે. બાળકોની સામે ગોળી મારી દીધી, આથી મોદીએ આપણી ત્રણેય સેનાને ખુલ્લી છૂટ આપી છે, એટલે આપણા શૂરવીરોએ એ કરી બતાવ્યું કે દુનિયાને અમારી તાકાતની ખબર પડી. 9 આતંકી ઠેકાણીને ફૂંકી માર્યા. 


ભારતમાં બનેલી વસ્તુઓ વાપરવી જોઇએ: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણા દેશમાં બનેલી વસ્તુઓનો વિશ્વભરમાં ડંકો વાગતો હોય તો શા માટે આપણે આપણા દેશમાં બનેલી વસ્તુઓને આપણે કેમ ન વાપરીએ. દિવાળી હોય કે ગણપતિ મહોત્સવ ભારતમાં બનેલી વસ્તુઓ વાપરવી જોઇએ. ભારતના લોકોની કમાણી થવીએ. ભારતે આગળ વધવું હોય તો દરેક ભારતીયએ સંકલ્પ લેવો જોઇએ.


તેઓએ જણાવ્યું હતું કે, દાહોદનો વટ પડી ગયો, આજે દેશ નિરાશાના અંધકારમાંથી નીકળીને અજવાળામાં તિરંગો લહેરાવી રહ્યો છે.


આપણાં પેસેન્જર કોચ, મોઝામ્બિક, શ્રીલંકા જેવા દેશોમાં ઉપયોગ થઈ રહ્યો છે. મેડ ઇન ઇન્ડિયા લોકોમોટિવ પણ હવે અનેક દેશોમાં નિકાસ કરી રહ્યું છે. આ મેડ ઇન ઇન્ડિયાનો જે વિસ્તાર થઈ રહ્યો છે અને એના જ કારણે ભારત ગર્વથી માથું ઉંચું કરી શકે છે. આજે ભારત દુનિયાનું મોટું એક્સપોર્ટર બની રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની મેટ્રોમાં આપણા ગુજરાતમાં બનેલા કોચ છે. મેક્સિકો, સ્પેન, જર્મની આ દેશોમાં પણ રેલવે દ્વારા જરૂરી નાના મોટા સાધનો ભારતમાં બનીને જઈ રહ્યા છે તેવું પીએમ મોદીએ જણાવ્યું હતું.


વધુમાં જણાવ્યું હતું કે, થોડીવાર પહેલાં અહીં હજારો કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયા. તેમાં સૌથી શાનદાર ઇલેક્ટ્રિક લોકોમેટિવ ફેક્ટરી છે. ત્રણ વર્ષ પહેલા હું તેનો શિલાન્યાસ કરવા આવ્યો હતો. ઘણાં લોકોને તો ગાળો આપવાની ટેવ પડી ગઈ છે, એવુ કહેતા હતા કે ચૂંટણી આવી એટલે શિલાન્યાસ કર્યો કંઈ થશે નહીં. પરંતુ આજે પહેલો ઇલેક્ટ્રિક લોકોમોટિવ બનીને તૈયાર થઈ ગયો છે અને મેં તેને લીલી ઝંડી બતાવી. આ દેશ અને ગુજરાત માટે ગૌરવની વાત છે.


વધુમાં જણાવ્યું હતું કે, ભારત આજે તેજ ગતિથી મેન્યૂફેક્ચરિંગની દુનિયામાં આગળ વધી રહ્યો છે. દેશની જરૂરિયાતના સામાનનું નિર્માણ હોય કે, વિદેશમાં નિકાસ એ સતત વધી રહ્યા છે. આજે સ્માર્ટ ફોનથી લઈને ગાડીઓ, રમકડાં, સેનાના શસ્ત્રો, દવાઓ એવો ઘણો સામાન નિકાસ કરી રહ્યા છીએ. એટલું જ નહીં, આજે ભારત રેલ, મેટ્રો અને તેના માટે જરૂરી ટેકનોલોજી બનાવે તો છે અને નિકાસ પણ કરે છે.


વધુમાં જણાવ્યું હતું કે, આજે દેશ નિરાશાના અંધકારમાંથી નીકળીને અજવાળામાં તિરંગો લહેરાવી રહ્યો છે. આજે આપણે 140 કરોડ ભારતીય મળીને આપણા દેશને વિક્સિત ભારત બનાવવા માટે લાગેલા છીએ. દેશની પ્રગતિ માટે જે કંઈ જોઇએ એ અમે ભારતમાં જ બનાવીએ એ આજના સમયની માંગ છે. તમારા આ આશીર્વાદની શક્તિથી હું દિવસ રાત દેશવાસીઓની સેવામાં લાગેલો રહ્યો. આ વર્ષોમાં દેશે એવા નિર્ણયો લીધા જે અકલ્પનીય અને અભૂતપૂર્વ છે. આ વર્ષોમાં દાયકાઓ જૂની પેઢીઓ તોડી છે, દેશ દરેક સેક્ટરમાં આગળ વધ્યો છે.


રેલવેનો કેવો વિકાસ થયો છે. સેમી અને સ્માર્ટ સ્પીડ રેલવે જેનું કોઈ નામ નહોતું લેતું. દેશમાં 70 રૂટ પર વંદે ભારત ટ્રેન ચાલી રહી છે અને આજે અમદાવાદ-વેરાવળ સોમનાથ દાદાના ચરણોમાં વંદેભારત ચાલુ થઈ છે. હવે સોમનાથ માટેના દરવાજા ખુલી ગયા છે. ભારતમાં આજે આટલી આધુનિક ગાડીઓ ચાલી રહી છે અને તેનું મોટું કારણ છે નવી ટેકનોલોજી દેશના યુવાઓ તૈયાર કરી રહ્યા છે. કોચ ભારતમાં બને, લોકોમોટિવ ભારતમાં બને. આ બધું પહેલા વિદેશોમાંથી લાવવું પડતું હતું. આજે પરસેવો પણ આપણો, પૈસા પણ આપણાં અને પરિણામ પણ આપણું.


2014માં આજના જ દિવસે મેં પહેલીવાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા

આજે 26 મેનો દિવસ છે. 2014માં આજના જ દિવસે મેં પહેલીવાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા. તિરંગો જોઇએ. ગુજરાતના લોકોએ મને ભરપૂર આશીર્વાદ આપ્યા અને પછી દેશના કોટી કોટી લોકોએ મને આશીર્વાદ આપવામાં કોઈ ખોટ રાખી નથી. બધાના તિરંગા ફરકતા રહેવા જોઇએ. 


આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બને એ જ નવાઈ લાગે

મોદીએ આદિવાસી જિલ્લાઓને જણાવ્યું હતું કે, અહીંની દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે સતત કામ કરતા રહીએ છીએ. મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ વિશે જે મેં સપના જોયા હતા એ આજે સાકાર થવાનું અને આંખો સામે જોવાનું સૌભાગ્ય મળે છે. હું દાવા સાથે કહું છું આદિવાસી વિસ્તાર એવો દાહોદ કેવો વિકાસ પામે એ જોવું જોઇએ. આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બને એ જ નવાઈ લાગે.


દાહોદ સાથે મારે વર્ષો જૂનો નાતો

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, મારો દાહોદ સાથેનો સંબંધ રાજકારણમાં આવ્યા પછી નથી થયો, લગભગ 70 વર્ષ થયા હશે બે-બે ત્રણ ત્રણ પેઢી સાથે કામ કરવાની તક મળી છે. આજે પરેલ 20 વર્ષ પછી ગયો. આખું પરેલ બદલાઈ ગયું છે. પહેલા હું આવું એટલે સૂર્યાસ્ત થાય ત્યારે મને એમ થાય કે સાયકલ પર પરેલ જાવ. વરસાદ પડ્યો હોય અને લીલોતરી થઈ ગઈ હોય અને એ સાંજ મને આનંદદાયક લાગતું. પરેલમાં સાથીઓ સાથેના ઘરે સાંજના રોટલા જમીને પાછો આવું.


ગુજરાતના રેલ નેટવર્કનું 100 ટકા વીજળીકરણ

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતને વધુ એક ઉપલબ્ધિ હાંસલ થઈ છે. ગુજરાતના રેલ નેટવર્કનું 100 ટકા વીજળીકરણ થઈ ગયું છે. પહેલા તો મારે અહીંના લોકોનો આભાર માનવો છે. મને વચ્ચેથી મળવા બોલાવ્યો. અનેક જૂના લોકો મળ્યા અને જૂની જૂની વાતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application