તાજેતરમાં રાજકોટ શહેરમાં મિની વાવાઝોડા સાથે માવઠું વરસતા બે હોર્ડિંગ બોર્ડ ધરાશાયી થયા હતા ત્યારબાદ મહાપાલિકા તંત્ર દ્વારા એડ એજન્સીઓ સામે કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હોય આજે મહાપાલિકામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને શહેરના તમામ હોર્ડિંગ્સ મામલે શું પ્રિમોન્સૂન કામગીરી કરાઇ છે ? તેની વિગતો માંગવામાં આવી છે અને જો તેની વિગતો આપવામાં નહીં આવે તો જરૂર પડ્યે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવાની પણ લેખિત ચિમકી આપી છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ આજરોજ જીએડી ઇનવર્ડ નં.૧૪૪૬, તા.૨૮-૫-૨૦૨૪થી પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં આવેલા તમામ હોર્ડિંગ બોર્ડ મામલે પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત શું કામગીરી કરાઇ છે ? તેની વિગતો જાહેર કરશો. મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવેલા હોર્ડિંગ બોર્ડનું પ્રિ-મોન્સુન ચેકીંગ કરાયુ છે કે કેમ ? જો પ્રિ-મોન્સુન ચેકિંગ કરાયુ હોય તો તેમાં શું કામગીરી કરાઈ છે ? કેટલાને કયા કારણોસર નોટિસ અપાઈ છે, કેટલાને નોટિસ આપવાની બાકી છે તેની વોર્ડવાઈઝ સંપૂર્ણ વિગતો જાહેર જનતાની જાણકારીમાં આવી શકે તેવી રીતે જાહેર કરવા જણાવ્યું છે.
વિશેષમાં મ્યુનિ.કમિશનરને પાઠવેલા પત્રમાં ઉમેર્યું છે કે, તાજેતરમાં માવઠા દરમિયાન રાજકોટમાં રેસકોર્ષ રીંગ રોડ ઉપર તેમજ યાજ્ઞિક રોડ ઉપર બે હોર્ડિંગ રોડ ઉપર ખાબક્યા હતા તે કઈ એજન્સીના હતા? તેની સામે શું પગલા લેવાયા ? પગલા લેવાયાની વિગતો જાહેર કેમ ન કરાઈ ? તે જણાવશો. હોર્ડિંગ બોર્ડએ ખૂબ જોખમી વસ્તુ છે ખાસ કરીને ચોમાસામાં વરસાદ, વાવાઝોડા, માવઠા વિગેરે પરિસ્થિતિ દરમિયાન હોર્ડિંગ બોર્ડ નીચે ખાબકવાથી જીવલેણ અકસ્માત સર્જાતા રહે છે. મે-૨૦૨૪માં મુંબઈમાં માવઠા દરમિયાન હોર્ડિંગ ખાબકતા ૧૭ વ્યકિતના મૃત્યુ થયા હતા. ગુજરાતમાં મે-૨૦૨૫માં માવઠા દરમિયાન હોર્ડિંગ બોર્ડ નીચે ખાબકવાથી અમદાવાદ અને વડોદરામાં એક-એક વ્યકિતનું મૃત્યુ થયાનું ખુદ સરકારે જાહેર કર્યુ હતું.તાજેતરમાં રાજકોટમાં પણ ગત સપ્તાહે માવઠા દરમિયાન રેસકોર્ષ રીંગ રોડ ઉપર તેમજ યાજ્ઞિક રોડ ઉપર તેમ કુલ બે હોર્ડિંગ બોર્ડ રોડ ઉપર ખાબકયા હતા તો આ મામલે એજન્સી સામે શું પગલા લેવાયા ? આગામી સમગ્ર ચોમાસા દરમિયાન રાજકોટ શહેરમાં આવેલા અન્ય હોર્ડિંગ બોર્ડ રોડ ઉપર નહીં પડે તેની ગેરેન્ટી કમિશ્નર આપી શકે તેમ છે ખરા? તેવો સવાલ ઉઠાવી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને મ્યુનિ. વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ હોર્ડિંગ બોર્ડ મામલે કમિશનરને ૧૧ સવાલ પુછી તેનો લેખિત પ્રત્યુતર માંગ્યો છે જો કમિશનર લેખિત પ્રત્યુતર નહીં આપે તો હાઈકોર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરવા ફરજ પડશે તેમ પત્રમાં ઉમેર્યું છે.
મ્યુનિસિપલ કમિશનરને વિપક્ષના ૧૧ સવાલ
(૧) રાજકોટમાં કુલ કેટલા હોર્ડિંગ બોર્ડ છે ? તેમાં ખાનગી એડ એજન્સીના હોર્ડિંગ કેટલા ? અને કોર્પોરેશનની પોતાની ટેન્ડર સાઈટ કેટલી ?
(૨) પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ કેટલી એડ એજન્સીને તેના કયા સાઈટ લોકેશનના હોર્ડિંગ માટે કેટલી નોટિસ અપાઈ ?
(૩) કેટલી એડ એજન્સીએ તેના કેટલા હોર્ડિંગ બોર્ડના લેટેસ્ટ સ્ટ્રકચરલ સ્ટેબિલીટી સર્ટીફીકેટ રજૂ કર્યા છે ?
(૪) લાઈટવાળા હોર્ડિંગ બોર્ડમાં કોઇ અલગ નિયમો હોય છે કે કેમ? તેમાં આગ લાગે તો ફાયર સેફટીની સુવિધા શું હોય છે ?
(૫) હોર્ડિંગ બોર્ડ ધરાશાયી થયાના બન્ને કિસ્સામાં શું પગલા લેવાયા ?
(૬) રાજકોટ મનપાના એસ્ટેટ વિભાગમાં રજીસ્ટર્ડ હોય તેવી એડ એજન્સી કેટલી ? તેનું લીસ્ટ આપશો. એજન્સીના માલીક, સુપરવાઈઝર, મેનેજરના નામ અને મોબાઈલ નંબર જણાવશો.
(૭) એસ્ટેટ બ્રાંચમાં હોર્ડિંગ બોર્ડની કામગીરી કયા અધિકારી-કર્મચારી સંભાળે છે તેના નામ, હોદ્દા અને મોબાઈલ નંબર જણાવશો.
(૮) હોર્ડિંગ બોર્ડ પેટે મહાનગર પાલિકાની કુલ વાર્ષિક આવક કેટલી? ગત વર્ષે ટાર્ગેટ પૂર્ણ થયો હતો કે નહીં? (૯) ચાલુ વર્ષે હોર્ડિંગની આવકનો ટાર્ગેટ કેટલો છે ? કેટલી કેટલી એડ એજન્સીઓની કેટલી લાયસન્સ ફી બાકી છે ?
(૧૦) રાજકોટમાં નિયમ કરતા વધુ મોટી સાઈઝના હોર્ડિંગ બોર્ડ મુકાયા હોય તેવા કોઈ કિસ્સા ચેકિંગમાં ઝડપાયા છે ?
(૧૧) પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત કિઓસ્ક બોર્ડ (લાઈટવાળા) સામે કોઈ કાર્યવાહી કે નોટીસ બજવણી કરાઈ છે કે કેમ ?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech