રાજકોટ ભાવનગર રોડ પર મહીકા પાસે વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે પુલ પરથી 10 ફૂટ નીચે સરકારી બોલેરો ખાબકતા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. મોડી રાત્રે અથવા વહેલી સવારે અકસ્માતની આ ઘટના બની હતી. સવારે ખેડૂત અહીંથી પસાર થતા તેનું ધ્યાન જતા બનાવ સામે આવ્યો હતો. ભાવનગર કામ સબબ સરકારી ગાડી લઈને ગયા બાદ પરત ફરતી વખતે અકસ્માતની આ ઘટના બની હતી. બનાવને લઇ બંને મૃતકના પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો.જયારે માર્ગ મકાન વિભાગ કચેરીના કર્મચારી ગણમાં શોક વ્યાપી ગયો હતો.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ સવારના મહિકા નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે એક ખેડૂતે પુલ પરથી નીચે ખાબકેલી બોલેરો નંબર જીજે 18 જીબી 3409 જોતા ત્યાં જઈ તપાસ કરતા બે પુરુષમાં પડ્યા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેણે તુરંત પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ને જાણ કરી હતી. બાદમાં ફાયર બ્રિગેડની ટીમે અહીં પહોંચી આ કારમાંથી બંનેને બહાર કાઢ્યા હતા. 108 ના તબીબે આ બંનેને મૃત જાહેર કર્યા હતા. પીઆઇ એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ઝાપડીયા સહિતનો સ્ટાફ અહીં પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસ તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે, મૃતક પૈકી એક મૂળ વલસાડના વાપીના વતની અને હાલ બહુમાળી ભવન નજીક હોમગાર્ડ ઓફિસ પાસે ક્વાર્ટરમાં રહેતા અને માર્ગ મકાન વિભાગ કચેરીના યાંત્રિક કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવનાર ચંપકભાઈ છગનભાઈ (સી. સી) પટેલ (ઉ.વ 56) હોવાનું તથા અન્ય મૃતક તેમના ડ્રાઇવર બજરંગવાડી-૯ ના ખૂણે રહેતા જાવેદ યુનુસભાઈ પઢીયાર (ઉ.વ 34) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે બંનેના પરિવારજનોને તથા માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓ અહીં બનાવસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરી બંનેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગઈકાલે સવારે જાવેદભાઈ અને અધિકારી સી.સી.પટેલ ભાવનગર સાઈડનું કામ જોવા માટે સરકારી ગાડી લઈને નીકળ્યા હતા. ત્યાંથી પરત ફરતી વખતે મોડી રાત્રે અથવા વહેલી સવારે કોઈ કારણોસર ડ્રાઇવર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બોલેરો મહીકા નજીક પુલ પરથી નીચે ખાબકી હતી. જે તે સમયે બનાવવાની કોઈને જાણ થઈ ન હતી સવારે ખેડૂતની નજર પડતા બનાવ સામે આવ્યો હતો. અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થતા માર્ગ મકાન વિભાગના અધિકારી કર્મચારીઓ અને મૃતકના સગા સંબંધીઓમાં કલ્પાંત છવાઈ ગયો હતો.
ઇજનેર સી.સી. પટેલ વસાડના વતની, ડ્રાઇવર જાવેદના પિતા નિવૃત એએસઆઇ
અકસ્માતમાં મોતને બેઠેલા યાંત્રિક કાર્યપાલક ઇજનેર સી.સી.પટેલની બદલી ત્રણ વર્ષ પહેલાં રાજકોટ માર્ગ મકાન વિભાગ કચેરી ખાતે થઈ હતી. તેઓ અહીં બહુમાળી ભવન પાસે ક્વાર્ટરમાં એકલા જ રહેતા હતા. તેમના પરિવારજનો વલસાડમાં રહે છે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનાર ડ્રાઇવર જાવેદ પઢિયાર એક ભાઈ એક બહેનના પરિવારમાં નાનો હતો અને તે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો હતો તેને સંતાનમાં સાત વર્ષનો પુત્ર છે. જાવેદભાઈ 15 વર્ષથી નોકરી કરતા હતા તેમના પિતા નિવૃત એએસઆઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech