જામનગર તા ૧૩, જામનગર શહેરમાં ઘણા વર્ષોથી રીવર ફ્રન્ટ માટે રજુઆતો કરવામાં આવતી હતી. જેના અનુંસંધાને જામનગર શહેરના સાંસદ, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી, પ્રભારી મંત્રી, તમામ ધારાસભ્યો, જામનગર શહેરના મેયર, કોર્પોરેશનના પદાધિકારીઓ વગેરે દ્વારા અનેક વખત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજુઆતો કરવામાં આવી હતી, જેને સફળતા સાંપડી છે.
જે અંગે આજે ગુજરાત સરકાર દ્વારા ઉપરોકત રજુઆતોના હકારાત્મક પ્રત્યુત્તર તરીકે મુખ્યમંત્રીશ્રીએ રંગમતી રીવર રીજુવિનેશન પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂા. ૧૨૫ કરોડ મંજુર કરવામાં આવેલા છે. જેમાં આ પ્રોજેકટના પ્રારંભીક તબક્કાના કામો માટે રૂા. ૨૫ કરોડની રકમની મંજુરી આપવામાં આવી છે. રીવર ફ્રન્ટ અંગેની કરવામાં આવેલ અનેકો રજુઆતને મંજુર કરવા માટે ઉપરોક્ત તમામે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો આભાર વક્યત કરવામાં આવેલ છે.
આ પ્રોજેકટ અંતર્ગત શહેરની રંગમતી - નાગમતી નદીઓની પહોળાઈ તેમજ ઊંડાઈ પણ વધારવામાં આવશે તેમજ આ બંને નદીઓને પોતાના મુળ સ્વરૂપે લઇ આવવા માટે પ્રયાસ પણ કરવામાં આવશે. આ પ્રથમ ચરણનું કામ ચોમાસા સુધીમાં પૂર્ણ થઇ જાય તેવી રીતે કામગીરી હાથ ધરવામાં આવશે.