જામનગર નજીક રામપર ગામમાં આવેલી દુકાનના શટર તોડીને અંદર ત્રાટકેલા તસ્કરો રોકડા ૨૦ હજાર, સોના ચાંદીના દાગીના મળી ૧.૯૫ લાખના મુદામાલની ચોરી કરી ગયાની ફરીયાદ દાખલ થઇ છે જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
જામનગરના દિ.પ્લોટ-૫૮, રંગ એવન્યુ એપાર્ટમેન્ટ પહેલા માળે રહેતા સોની વેપારી કલ્પેશ અરવિંદભાઇ લોઠીયાએ ગઇકાલે પંચ-એમાં ચોરી કરી ગયાની અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી કલ્પેશભાઇની જામનગર નજીક રામપર ગામે જવેલર્સની દુકાન આવેલી છે, દરમ્યાન તા. ૨૪ રાત્રીના કોઇ સુમારે અજાણ્યા શખ્સોએ દુકાનનું શટર કોઇ ઓઝાર વડે ઉંચકાવીને કાંચના દરવાજાનો નકુચો તોડી અંદર ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.
દરમ્યાન દુકાનમાં રાખેલા પોણા બે લાખની કિંમતના સોના, ચાંદીના દાગીના અને રોકડા ૨૦ હજાર મળી ૧.૯૫ લાખનો મુદામાલ ચોરી કરી ગયા હતા. આ અંગેની જાણ થતા સોની વેપારીએ પંચકોશી-એમાં ફરીયાદ કરતા પીએસઆઇ એ.કે. પટેલ તપાસ ચલાવી રહયા છે. જામનગર શહેર, જીલ્લામાં તસ્કરોની રંજાડ યથાવત રહેતા નાગરીકોમાં કચવાટની લાગણી જન્મી છે.