ચૂંટણીમાં જાહેર ,ખાનગી મિલકતો પર પ્રચાર માટે મંજૂરી લેવી પડશે

  • June 10, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ- ૨૦૨૫ નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે, જે અનુસાર ભાવનગર જિલ્લાની કુલ-૪૬૬ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાનાર છે, જેનું મતદાન તા. ૨૨-૬-૨૦૨૫ ના રોજ થનાર છે. ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.મનીષ કુમાર બંસલે તેમને મળેલ સત્તાની રૂઇએ ફરમાવ્યું છે કે, સરકારી કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ કે બોર્ડ, નિગમો, સહકારી મંડળીઓ કે સરકારનો જેમાં હિસ્સો સમાયેલ હોય તેવા કોઇપણ મકાનો, ભવનો, કમ્પાઉન્ડ વોલ પર ચૂંટણીલક્ષી કોઇપણ પ્રકારની જાહેરાત કે પ્રચાર-પ્રસાર કરી શકાશે નહી કે તેવી જમીનમાં બોર્ડ/હોડીંગ્સ મૂકી શકાશે નહી પરંતુ સ્થાનીક સ્વરાજયની સંસ્થાના આ અંગેના નિયમો હોય તો તે નિયમોનું નિયમાનુસાર પાલન કરવાનું રહેશે અને આ બાબતે પૂર્વ પરવાનગી લેવાની રહેશે. જાહેર સ્થળોએ જાહેરાતો પ્રદર્શિત કરવા માટે ખાસ નક્કી કરાયેલ જગ્યા કે જે કોઇ એજન્સીને ભાડે અપાયેલ હોય તેવી જગ્યાએ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા ઉમેદવારોને તે જગ્યાનો ચૂંટણી સબંધી જાહેરાતના ઉપયોગ માટે એકસરખી તકો રહેશે.
કોઇપણ ઉમેદવારો અને તેઓના કાર્યકરોએ સબંધિત મકાન માલિકોની પરવાનગી લીધા વિના જાહેર તથા ખાનગી મીલ્કત ઉપર ચૂંટણીલક્ષી પ્રચારપત્રો ચોડીને, સૂત્રો લખીને દિવાલો બગાડવી નહી. માત્ર હંગામી તથા સરળતાથી દૂર કરી શકાય કે હટાવી શકાય તેવા ધ્વજ બેનર્સ વગેરે ખાનગી મકાન કે મિલ્કત ઉપર સબંધિત માલિકની લેખિત પરવાનગી મૂકી શકાશે.
ખાનગી મકાન કે મિલ્કત ઉપર કાયમી કે અર્ધકાયમી બગાડ કરી શકશે નહીં.સબંધિત માલિક પરવાનગી આપે તો પણ કાયમી કે અર્ધકાયમી બગાડ કરી શકાશે નહીં. ઉમેદવારોએ ખાનગી મકાન કે મિલ્કત ઉપર સબંધીત માલિકની પરવાનગીથી મુકેલ ધ્વજ, બેનર્સ વગેરેની ચૂંટણી અધિકારીને તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાને મોડામાં મોડા ૩-દિવસમાં જાણ કરવાની રહેશે.
ઉમેદવારોએ, કાર્યકરોએ સમર્થકો દ્વારા ધ્વજ, આધારદંડ, બેનર્સ, નોટીસ લગાવવા, સુત્રો લખવા માટે કોઇ જાહેર મકાન, જમીન, ખાનગી મકાન, દિવાલ, હાઇ-વે અથવા બે માર્ગો ક્રોસ થતા હોય ત્યાં દિશાસુચક સાઇન બોર્ડ, હાઇ-વે પરના માઇલ સ્ટોન, રેલ્વે ક્રોસીંગ પાસે ચેતવણીના બોર્ડ, રેલ્વે બસ સ્ટેશન પ્લેટફોર્મના નામ, વોર્ડ અગર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઇ નોટીસ બોર્ડ વગેરે જાહેર અથવા ખાનગી મિલકતોનો બગાડ કરવાનો રહેશે નહી. ખાનગી માલિકીની મિલકતો ઉપર સંબંધિતોની પરવાનગી વગર માલ મિલકતનો બગાડ કરી શકાશે નહી. ખાનગી કે મકાનોની દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોટાડવા, પ્રચાર સામગ્રી ચોટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવો. એક ઉમેદવારે બહાર પાડેલ/લગાડેલા ભીંતપત્રો બીજા ઉમેદવાર કે તેમનાં કાર્યકરોએ દુર કરવા નહી. ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ સજાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાની ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ વિસ્તાર પૂરતું લાગુ પડશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી અમલમાં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application