એઈમ્સ-ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ સિક્સલેન વિજયભાઈની દેન, રાજકોટ હવે મેગા સિટીની હરોળમાં

  • June 13, 2025 06:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું પણ તેમાં દુઃખદ નિધન થયું છે. રાજકોટ જ્યારે ટ્રાફિક, પાણી, આરોગ્ય અને હવાઈ સેવામાં વર્ષોથી વંચિત હતું. રાજકોટવાસીઓ આ સેવાઓ માટે ઝંખી રહ્યા હતા. ત્યારે વિજયભાઈએ આ બધી જ સેવાઓ માત્ર ચાર વર્ષમાં પૂરી કરી અને રાજકોટની ગામડા તરીકેની છાપ હતી તે મેગા સિટીની હરોળમાં લાવી દીધું. 


વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી બન્યા તે પહેલાં રાજકોટનો વિકાસ ગોકળ ગતિએ ચાલોતો હતો. પરંતુ વિજયભાઈએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ રાજકોટમાં આમૂલ પરિવર્તન આવ્યું. તેમણે પોતાના શહેર માટે શક્ય એટલો વિકાસ ધપાવી રાજ્યના અન્ય મહાનગરો એટલે કે અમદાવાદ અને સુરત જેવી સ્થિતિ કરવી હતી. આ જ કારણે તેમણે એક પછી એક મોટા પ્રોજેક્ટ રાજકોટમાં લાવવા માટે પ્રયત્નો કર્યા હતા.


ફક્ત મોટા પ્રોજેક્ટ જ ગણીએ તો રાજકોટને 6000 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ મળી હતી. જે આજે રાજકોટ શહેર માટે માઈલસ્ટોન બન્યા છે. આરોગ્યક્ષેત્રે સૌથી મહત્ત્વની સંસ્થા એઈમ્સ છે. આ એઈમ્સનું એક કેન્દ્ર ગુજરાતમાં મંજૂર થયું હતું અને રૂપાણીએ તે રાજકોટને મળે તે માટે કેન્દ્ર સુધી પ્રયત્ન કર્યા હતા અને તે આખરે સ્વપ્ન સાકાર થયું. 1200 કરોડ રૂપિયાના ખર્ચે એઈમ્સ બનીને તૈયાર છે અને હવે ત્યાં સુપર સ્પેશિયાલિટી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.


આ જ રીતે નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની જાહેરાત થઈ ત્યારે પણ તે કેન્દ્રનો પ્રોજેક્ટ રાજકોટના ફાળે આવ્યો અને 1400 કરોડ રૂપિયાના ખર્ચે  નવું હીરાસર એરપોર્ટ તૈયાર થયું. આવા કેન્દ્રના પ્રોજેક્ટ ઉપરાંત જ્યારે સ્માર્ટ સિટીની ગણતરી થઈ ત્યારે પણ રાજકોટને તે યાદીમાં ઉમેરી દેવાયું. આ કારણે આ જ સુધીમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 2600 કરોડ રૂપિયાના કામો થયા છે. એક સમયે રાજકોટમાં ઓવરબ્રિજ ફક્ત એકાદ બે હતા તે સમયે ટ્રાફિક સમસ્યા સામે લડવા એક બે નહિ પણ પાંચ પાંચ બ્રિજ મંજૂર કર્યા હતા. હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજ બની જવાને કારણે હાલ ત્યાં ટ્રાફિક સમસ્યા શૂન્ય થઈ ગઈ છે.


આ જ રીતે કેકેવી ચોકમાં બ્રિજ પર બ્રિજ, નાનામવા સર્કલ, કાલાવડ રોડ જડ્ડુસ ચોક, રામાપીર ચોકડીએ પણ બ્રિજ બનાવીને 150 ફૂટ રિંગ રોડ અને કાલાવડ રોડ પર વાહનો ઝડપથી અંતર કાપે અને ટ્રાફિક ન થાય તેવી વ્યવસ્થા થઈ છે. આ તો ફક્ત મેજર પ્રોજેક્ટ જ છે જેનો આંકડો 6000 કરોડ કરતા પણ વધી જાય છે. આ સિવાય રાજકોટ મહાનગરપાલિકાને અલગ અલગ કામો માટે ગ્રાન્ટ હોય કે પછી રાજકોટ જિલ્લા પંચાયતમાં વિકાસ કાર્યો હોય કે પછી સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રમાં નેટવર્ક ઊભું કરવાનું હોય તેમાં રૂપાણીએ પાછી પાની કરી જ ન હતી. તેનું જ કારણ છે કે આજે રાજકોટ શહેર અને જિલ્લો ઘણો વિકસી શક્યો છે.


કદી ન થઈ હોય તેવી હરણફાળ પ્રગતિ, એઈમ્સ અને ઈન્ટરનેશનલ એરપોર્ટ અપાવ્યા, એક બે નહિ પણ પાંચ-પાંચ ઓવરબ્રિજ એક સાથે બનાવડાવ્યા, સ્માર્ટ સિટીમાં શહેરનો ઉમેરો કરાવીને 2600 કરોડ રૂપિયા ફાળવ્યા


નવી ઝનાના હોસ્પિટલની ભેટ

રાજકોટ એઈમ્સ જ નહિ પણ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં રૂપાણીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષો જૂની ઝનાના હોસ્પિટલને સ્થાને નવી એમસીએચ મંજૂર કરી દીધી જે આજે સૌરાષ્ટ્રની સૌથી મોટી મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ છે. 11 માળની આ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ છે. આ જ રીતે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પીએમએસએસવાય અંતર્ગત નવું બિલ્ડિંગ મંજૂર કર્યું તેમાં પણ કરોડો રૂપિયાના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ જ હોસ્પિટલ કોરાનાકાળ દરમિયાન અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યુ હતું.


3350 કરોડના રાજકોટ-અમદાવાદ સિક્સલેનની ભેટ

સૌરાષ્ટ્રને સીધું ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ સાથે જોડવા વિજયભાઈએ પોતાના મુખ્યમંત્રી કાળમાં 3350 કરોડના ખર્ચે અમદાવાદ-રાજકોટ સિક્સલેન પ્રોજેક્ટ લાવવામાં સફળ રહ્યા હતા. આજે બન્ને શહેરને જોડતો સિક્સલેન બનીને તૈયાર થઈ ગયો છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોનો સમય અને ઇંધણમાં બચાવ થયો છે.  ગુજરાતમાં અમદાવાદથી રાજકોટને જોડતા નેશનલ હાઈવે (એનએચ) નંબર 47ની સિક્સલેનની કામગીરીમાં વિલંબ થયો ત્યારે ઘણો વિરોધ પણ થયો હતો. 2018થી શરૂ થયેલી સિક્સલેન હાઈવેની કામગીરી 7 વર્ષ જેટલી ચાલી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application