‘ધબાય નમ:’ થશે તો મનપાનું તંત્ર જવાબદારી સ્વીકારશે?

  • June 11, 2025 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં જ પોરબંદર મહાનગરપાલિકાના તંત્રએ જર્જરિત ઇમારતના માલિકોને નોટીસ  પાઠવીને હવે ચોમાસામાં કોઇ ગંભીર અકસ્માત થાય તો તેની જવાબદારી જે તે માલિકની રહેશે તેમ જણાવી પોતાના હાથ ખંખેરી લીધા છે પરંતુ બીજી બાજુ પોરબંદર મહાનગરપાલિકા હસ્તકની અનેક ઇમારતો ખૂબજ વધારે પડતી જર્જરિત છે અને ચોમાસામાં જાનહાની થાય તેવી પૂરેપૂરી શકયતા છે તેમ છતાં સમારકામ કરવાની વાત તો દૂર રહી આ ઇમારત પ્રત્યે નજર શુધ્ધા નાખવામાં આવતી નથી ત્યારે કોઇ ગંભીર અકસ્માત થાય તો મનપા જવાબદારી માથે લેશે? તેવો સવાલ ઉઠાવીને રજૂઆત કરવામાં આવી છે. 
પોરબંદરના સામાજિક કાર્યકર દિલીપભાઇ લીલાધર મશ‚એ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે ૫ોરબંદર મહાનગરપાલિકા હસ્તકની બિલ્ડીંગો ખૂબજ ભયજનક અને મોતના માંચડા જેવી હાલતમાં જોવા મળે છે. વર્ષોથી તેની મરામત કરવામાં આવતી નથી. વેપારીઓ જાનના જોખમે વેપારધંધા કરે છે. દર વર્ષે ચોમાસામાં નાના -મોટા બનાવો બને છે. પોપડા ખરવાના અને છાજલી પડવાના બનાવો બને છે. મહાનગરપાલિકા હસ્તકની અનેક બિલ્ડીંગો પત્તાના મહેલની જેમ ગમે ત્યારે ધારાશાયી થઇ શકે તેમ છે. આ બાબતની લેખિત રજૂઆત જિલ્લા કલેકટર અને જે તે સમયના નગરપાલિકાના ચીફ ઓફિસરને એક વર્ષ પહેલા વિગતવાર કરેલ છે. છતાં પણ મરામત કે જોખમી બિલ્ડીંગો અંગે કોઇ દરકાર લીધી નથી. ત્યારે સવાલ એ થાય છે કે ગંભીર પ્રકારની બેદરકારી અંગે મહાનગરપાલિકા જવાબદાર અધિકારી સામે પણ  એફ.આઇ.આર. થઇ શકે. જાણી જોઇને લાપરવાહ અંગે મહાનગરપાલિકા હસ્તક અને કબજાની બિલ્ડીંગો જેવી કે નટવરચોક શાકમાર્કેટ અને દુકાનો, સ્ટેટ લાઇબ્રેરીનો ભાગ, જૂની નગરપાલિકા, રાણીબાગની દુકાનો, વાડીપ્લોટ શાકમાર્કેટ અને દુકાનો આમ મહાનગરપાલિકાના કબ્જાવાળી મિલ્કતો જર્જરિત હાલતમાં છે.ગોપનાથપ્લોટમાં આવેલ બિલ્ડીંગનો પણ સમાવેશ થાય છે. તેનું શું કરવાનું છે? તેવો સવાલ ઉઠાવીને તેમણે જણાવ્યુ છે કે ચોપાટીની સ્ટેટ લાઇબ્રેરી ખાતે મોટી સંખ્યામાં વાચકો પુસ્તકો અને અખબાર વાંચવા માટે આવે છે અને તેનો ઉપરનો ટાઉનહોલ ખૂબજ જર્જરિત છે એ જ રીતે માણેકચોક શાકમાર્કેટમાં પણ અનેક જગ્યાએ છત ધરાશાયી થઇ ચૂકી છે અને અહીંયા મોટી સંખ્યામાં લોકો શાકભાજી ખરીદવા આવતા હોય છે તેથી જો કોઇ અકસ્માત થાય અને લોકોની જાનહાની થાય તો તેના માટેના જવાબદાર પોરબંદર મહાનગરપાલિકાના  મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિ અને તેમની ટીમ રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ સામાજિક કાર્યકર દિલીપભાઇ લીલાધર મશ‚એ આપી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application