જામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત

  • June 09, 2025 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીલ્લામાં રોડ રસ્તાના કામો, ખેડુતો સાથે બેંકમાં થતી છેતરપીંડીઓ તેમજ અન્ય પ્રશ્ર્ને ગઇકાલે જામનગરમાં સીએમને મળી પત્ર પાઠવ્યો

જામનગરમાં પ્રથમ વખત જિલ્લા સંકલનની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વધુ એક વખત લોકોની સળગતી સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવ્યો છે. જામનગર જિલ્લાના જામજોધપુર- લાલપુર વિધાનસભા બેઠકના સક્રિય યુવા ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા પોતાના વિસ્તારની પ્રજાની સુખાકારી માટેના પ્રાણ પ્રશ્નો સમાન આરોગ્ય, સિંચાઈ, જામનગર જિલ્લાના રોડ રસ્તા અને ખાસ કરીને જામનગર ડિસ્ટ્રિકટ કો. ઓપરેટીવ બેંક દ્વારા ખેડૂતો સાથે થયેલ છેતરપીંડી સહિતની સમસ્યા મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ રજૂઆત કરી પ્રશ્નોનો નીવેડો લાવવાની દિશામાં આદેશ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી. આ દરમિયાન ભૂપેન્દ્રભાઈ પટેલે ખુદ પ્રશ્નોની ગંભીરતાને ધ્યાને લઇ જામનગર જિલ્લામાં રોડ રસ્તાના કામમાં આવતી અડચણ દૂર કરવા અને આરોગ્ય કેન્દ્રમાં કાયમી ભરતી સહિતની ખાતરી પણ આપવામાં આવી છે.

જિલ્લા સંકલનની બેઠકમાં જામનગર જિલ્લાના રોડ રસ્તાના કામની મુખ્યમંત્રીને રજૂઆત કરતા હેમંતભાઈએ જણાવ્યું કે જામનગર જિલ્લાના ઘણા રોડ આજે પણ બિસ્માર હાલતમાં છે. જેમાંથી ઘણા રસ્તાઓના કામોને જોબ નંબર ફાળવવામાં આવ્યા હોવા છતાં, ભાવ ઘટાડા અને ભારેખમ નિયમોના નેજા હેઠળ લાંબા સમયથી કામો શરૂ થયા નથી. મોટી વાત તો એ છે કે ઘણા રસ્તાઓ માટે 10 થી 12 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરંતુ નબળી ટ્રીટમેન્ટ અને અન્ય કારણોસર કોઈ કોન્ટ્રાકટર પેઢી ટેન્ડર ઉપાડવા તૈયાર થતી નથી, આથી સ્થાનિક લોકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે.

ખરાબ રસ્તા ના કારણે વિસ્તારવાસીઓને વાહનોમાં નુકસાની ઉપરાંત મેડિકલ ઇમર્જન્સી વેળાએ ખૂબ મુશ્કેલી પડી રહી છે. રસ્તાઓની નબળી સ્થિતિનેં કારણે વાહનચાલકો પર અકસ્માતોનું પણ સતત જોખમ ઝળુંબી રહ્યું છે. આથી, રસ્તાના કામો વહેલી તકે શરૂ થાય તે માટે ટેન્ડર પ્રક્રિયામાં આવતી અડચણો દૂર કરવા માંગ કરાઈ હતી. જેની વાસ્તવિકતાને ધ્યાને લઇ મુખ્યમંત્રી દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં આવતી અડચણો, જેમ કે નબળી ટ્રીટમેન્ટનું નિરાકરણ લાવવા જેવી બાબતોની ખાતરી અપાઈ હતી.

બીજી બાજુ જામનગર ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંક લી. ની જામજોધપુર બેંક શાખાના કર્મચારીઓ દ્વારા કરાયેલ છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતો, ગ્રાહકોને વ્યાજ સહિત રકમ ચૂકવવામાં આવે તેવી પણ ધારાસભ્યએ રજૂઆત કરી હતી.

હેમંતભાઈ ખવાએ જણાવ્યું કે, જામનગર ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંક લી. ના જામજોધપુર શાખાના 6 કર્મચારી દ્વારા ગ્રાહકોની ફિકસ ડિપોઝિટ અને સેવિંગ ખાતામાથી 8 વર્ષ અગાઉ જામજોધપુર તાલુકાના વિવિધ ગામોના આશરે 3.18 કરોડ રૂપિયાની છેતરપિંડી કરાઇ છે. આ અંગે જામનગર ડિસ્ટ્રિકટ કો.ઑ.બેંક લી. ના મેનેજરદ્વારા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી, જેના ત્રણથી ચાર માસ વિતી ગયા બાદ પણ એનકેન પ્રકારે સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવેલ ન હતી. જોકે જામનગર ડિસ્ટ્રિકટ કો. ઓ. બેંક લી. ના આ મામલે હાઇકોર્ટમાં દાદ માંગેલ અને ત્યાર બાદ સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, આ છેતરપિંડીનો ભોગ બનેલા મોટાભાગના ખેડૂતો અને ગ્રાહકોની મરણ મૂળી ડૂબી ગઈ હોવા છતાં હજુ ભોગ બનનારા લોકોને વળતર મળ્યું નથી.

હેમંતભાઈ કહ્યું કે, જે લોકોના નાણાં ડૂબ્યા છે એવા લોકોની વેદના પારખી જામનગર ડિસ્ટ્રિકટ કો.ઑ.બેંક લી મા હું છેલ્લા પાંચ વર્ષથી ડાયરેકટર તરીકે સેવા આપતો હોવાથી મે વખતો વખત બેંકની જનરલ બોર્ડની મિટિંગમાં ચેરમેન સમક્ષ ગ્રાહકોને પોતાની મરણ મૂડી વ્યાજ સહિત ચૂકવવા માટે રજૂઆત કરી છે. જોકે આ બાબતે આજ સુધી બેંક દ્વારા ગ્રાહકોને કોઈ પણ રકમનું ચૂકવણું કરવામાં આવેલ નથી. જેથી ભોગ બનેલા લોકોની હાલત દયનીય બની છે. આથી ગ્રાહકોને તેમની રકમ ચૂકવવા માટે આપદ્વારા સુચન કરી કલેકટરના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરી યોગ્ય તપાસ બાદ ખેડૂતો અને ગ્રાહકોને તેમની મરણ મૂળી વ્યાજ સહિત અપાવવામાં આવે તે જરૂરી છે.

હેમંતભાઈ કહ્યું કે જો આ દિશામાં યોગ્ય કામગીરી કરવામાં નહિ આવે તો ના છૂટકે ખેડૂતો તથા ગ્રાહકોને સાથે રાખી ગાંધીચિધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, વધુમાં જામજોધપુર તાલુકાના પ્રાણ પ્રશ્ન સમાન ઝીણાવરી ગામે વર્તુ નદી પર ડેમ નિર્માણનો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. જેમાં હેમંતભાઈએ જણાવ્યું કે 26 વર્ષ પહેલા જીણાવારી ગામે વર્તુ નદી પર એક ડેમ ખાસ કિસ્સામાં મંજુર થયો હતો. આ ડેમ નિર્માણથી ઝીણાવરી અને આસપાસના રબારીકા, મોટાવડીયા, મોટીગોપ, સોનવડીયા, માનપર, ધારાગઢ, બોડકી, ફોટડી, ભોરીયા સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ તેમજ પીવાના પાણીનો ખુબ જ ફાયદો થાય તેમ છે.

ભૂતકાળમાં વખતો વખત આ ડેમની સર્વેની કામગીરી પણ થયેલ છે પરંતુ કોઈ કારણોસર આગળની કાર્યવાહી થયેલ નથી. તેથી ઝીણાવરી ગામે વર્તુ નદી પર ડેમ નિર્માણ માટે રાજ્યના આગામી બજેટમાં પૂરતી જોગવાઈ કરવામાં આવે અને આ પ્રોજેકટની કામગીરી તાત્કાલિક શરૂ કરવા સંબંધિત જળસંપત્તિ વિભાગને આદેશ આપવામાં આવે તે જરૂરી છે.

બીજી બાજુ ખેડૂતો જે મામલે સૌથી વધુ મુશ્કેલી ભોગવી રહ્યા છે તે જમીન માપણીમાં રિ-સર્વે કરવામાં નવી ટિમ ફાળવવા પણ ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ ખેડૂતોની પરિસ્થિતિ પારખી રી-સર્વે અંગે ટીમ ફાળવવા જણાવાયું હતું. સાથે જ જામજોધપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સ્ટાફની ઘટ અંગેની રજૂઆતને ધ્યાને લઇ સ્ટાફની નિમણૂંક કરવા અને લાલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની નિમણૂંક કરવા માટે ખુદ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી. આગામી સમયમાં તે મામલે જાહેરાત થઈ શકે છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News