રાજકોટ જિલ્લામાં ટીબીના નવા 356 કેસ જિલ્લા પંચાયતે શોધી કાઢ્યા

  • June 10, 2025 09:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 145 દિવસ સુધી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત હાઉસ ટુ હાઉસ કોન્ટેક્ટ કરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને કુલ 356 નવા ટીબીના દર્દીઓ મળી આવ્યા હોવાનું જણાવ્યું છે.

રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી આર. આર. કુલમાળીના માર્ગદર્શન હેઠળ 145 દિવસમાં 1,52,603 હાઈરિસ્ક લોકોનું સ્ક્રીનિંગ કરાયું હતું. જે પૈકી 51,842 લોકોના ફેફસાનો એક્સરે કરાયો હતો. જ્યારે 20,240 લોકોના ગળફાની તપાસ કરવામાં આવી હતી. આ પૈકી 356 લોકોને ક્ષય હોવાનું જણાતા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર હેઠળ 772 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને તેમને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા માટે દર મહિને 1000ની આર્થિક સહાય સીધી તેના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. ચાર મહિનામાં આવા દર્દીઓને કુલ 1192 પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પોષણ કીટમાં અનાજ કઠોળ દાળ દૂધ સહિતના પૌષ્ટિક પદાર્થોનો સમાવેશ કરવામાં આવતો હોય છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ 2015 ની સરખામણીએ ગુજરાતમાં 2023 માં નવા દર્દીઓના રજીસ્ટ્રેશનમાં 34 ટકાનો અને મૃત્યુદરમાં 37 ટકાનો ઘટાડો થયો છે. આ કામગીરીના કારણે કેન્દ્ર સરકારે ગુજરાતને સ્ટેટસ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં પ્રથમ ક્રમાંકે રાખ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application