એવો કેસ બનાવીશ કે આખી જિંદગી બહાર નહીં નીકળી શકોઃ પૂજા રાજગોરની ડીસીપી બાંગરવા, LCBના 15 અધિકારી, 2 મહિલા PSI સામે કોર્ટમાં ફરિયાદ

  • June 10, 2025 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમિત ખૂંટ દુષ્કર્મ-આત્મહત્યા કેસમાં આરોપી પૂજા રાજગોરે ડીસીપી જગદીશ બાંગરવા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબી સ્ટાફના 15 અધિકારી અને 2 મહિલા પીએસઆઈ વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં ફરિયાદ કરી છે. તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવા ફરિયાદમાં જણાવ્યું છે.


પુજા રાજગોરે કોર્ટમાં કરેલી ફરિયાદ અક્ષરશઃ

(૧) અમો ફરિયાદી રાજકોટ રહીએ છીએ. તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તાઃ ૦૫/૦૫/૨૦૨૫ના રોજ નોંધાયેલ ગુન્હા રજી. નં: ૧૧૨૧૩૦૧૯૨૪૦૩૧૪/૨૦૨૫ના ગુન્હાના કામે ગોંડલ સબજેલમાં કાચા કામના કેદી તરીકે જયુડીશીયલ કસ્ટડીમાં છીએ.


(૨) અમોની સાથે રહેતા અને અમારા મિત્ર (સગીરા) ધ્વારા તા: ૦૩/૦૫/૨૦૨૫ના રોજ અમીત ખુંટ નામના વ્યકિત વિરુધ્ધ દુષ્કર્મ તથા પોક્સોની વિવિધ કલમો નીચે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. અને હાલની ફરીયાદના સંદર્ભમાં અમોની મિત્રને તાઃ ૦૫/૦૫/૨૦૨૫ના રોજ મેડિકલ રિપોર્ટસ કરાવવા માટે એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ત્યાંના પી.આઈ. સાહેબ દ્વારા બોલાવવામાં આવેલ હતી. જેથી અમો અમોના મિત્ર સાથે તા: ૦૫/૦૫/૨૦૨૫ના રોજ બપોરે ૧૨ વાગ્યા આસપાસ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગયેલ હતા ત્યાં એકાદ કલાક બેસાડી રાખ્યા બાદ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય પોલીસ અધિકારીઓ ધ્વારા અમોને તથા અમારી મિત્ર સીપી ઓફીસ રાજકોટ ખાતે ડીસીપી પાસે લઈ જવામાં આવેલ અને ત્યાં ડીસીપી સમક્ષ અમને હાજર કરેલ. 


ત્યા ડીસીપી રાજકોટ ધ્વારા સતત અમોને ધાકધમકી આપવામાં આવેલ કે તમે બેયે કરેલા કાંડના કારણે જ અમીત ખુંટે આત્મહત્યા કરી લીધેલ છે. અને તમે બેય આમા ફસાય જવાના છો અને સતત અમોને કહેલ કે હવે તમને એવા ફીટ કરવા છે કે આખી જિંદગી તમે બહાર નહીં નીકળી શકો. અને ત્યા ડીસીપી ધ્વારા અમોનો તથા અમારી મિત્રનો મોબાઈલ લઈ લેવામાં આવેલ. અને સતત અમોને કહેલ કે તમે બેય જે કબુલ કરી લ્યો કે અમીત ખુંટને તમે હની ટ્રેપમાં ફસાવેલ છે બાકી તમારા બેય વિરુદ્ધ એવો કેસ બનાવીશ કે આખી જિંદગી બહાર નહીં નીકળી શકો. શરૂઆતમાં અમોને સીપી કચેરી ખાતે લઈ જવામાં આવેલ અને અન્ય પોલીસ અધિકારીઓ ડીસીપી સાહેબને સીપી તરીકે સંબોધતા હોય અમો તેઓને સીપી માની રહ્યા હતા પરંતુ ત્યારબાદ અમોને જેલમાં અમોના વકીલ મારફત ફોટા બતાવવામાં આવતા અમોના ધ્યાનમાં આવેલ છે કે અમોનો મોબાઈલ જપ્ત કરીને અમને જે સતત ધાકધમકી આપતા હતા તે ડીસીપી જગદીશ બાંગરવા હતા.


(૩) ત્યાં ડીસીપી ઓફીસે અમોને સતત સાંજ સુધી અમારી મરજી વગર બેસાડી રાખવામાં આવેલ અને તે સમયે અમારી સાથે અમારા ઘરના કોઈ વ્યકિત કે અન્ય કોઈ મિત્રને પણ ખબર ન હતી કે અમો કયા છીએ અને પોલીસે અમોને આ બાબતની જાણ કરવાની પણ મંજુરી અમોને આપેલ નહિ. ત્યારબાદ આ પોલીસ દ્વારા અમોને ફરી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ અને ત્યાંથી અમોને અમારી સુરભી હોટલ ખાતે જયાં રહીએ છીએ ત્યાં લઈ જવામાં આવેલ અને અમોને અમારા રૂમમાં બંધ કરીને એ ડીવીઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા અન્ય એલસીબી પોલીસનો સ્ટાફ એમ કરીને કુલ ૧૫ જેટલા અધિકારીઓએ અમને અમારા જ સુરભી હોટલ ખાતેના રૂમમાં સવાર સુધી બંધક બનાવીને રાખેલ હતા.


(૪) સવાર સુધી બંધક બનાવીને રાખ્યા બાદ સવારે ૬.૩૦ વાગ્યે અમોને તથા અમારી મિત્રને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવા માટે રવાના કરવામાં આવેલ હતા અને અમોને તથા અમારી મિત્રને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ હતા. અમોની સાથે ગોંડલમાં જે કાંઈ ઘટના બનેલ છે તે બારાની અલગ ફરીયાદ બનેલ છે તે બારાની ફરીયાદ અમોને નામદાર ગોંડલ કોર્ટમાં દાખલ કરેલ છે પરંતુ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને સોંપ્યા અગાવ અમોને એક દિવસ અને એક રાત રાજકોટ ડીસીપી તથા એડીવીઝન એ એલસીબી સ્ટાફ દ્વારા રાજકોટ ખાતે ગોંધી રાખવામાં આવેલ હતા. જે આપ સાહેબના જયુરીશડીકશનમાં આવતુ હોય આપ સાહેબને હાલની ફરીયાદ કરી રહયા છીએ.


(૫) અમોને જ્યારે એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ હતા ત્યારથી અમોને અમારી મરજી વિરુદ્ધ બેસાડી રાખવામાં આવેલ હતા અમના વિરુધ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થયા હોવા અંગેની કોઈ માહિતી અમોને આપવામાં આવેલ ન હતી.

અમોના મોબાઈલ ફોન કોઈપણ જાતના પંચનામા વગર લઈ લેવામાં આવેલ હતા અને આખી રાત અમોને સુરભી હોટલ ખાતે રાખવામાં આવેલ હતા. જ્યાં પોલીસ દ્વારા અમોની પાસેથી તમામ પ્રકારના સંપર્કના સાધનો લઈ લેવામાં આવેલ હતા અને આ તમામ સમયે કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓનો ઉપયોગ કરવામાં આવેલ હતો.


(૬) હાલની આ ફરિયાદમાં અમારા સાક્ષી નીચે મુજબ છે

૧. અમો ફરીયાદી પોતે

૨. અમારી મિત્ર

૩. એડવોકેટ દિનેશભાઈ પાતર

ઈન્કવાયરી સમયે જે કોઈ સાહેદો પ્રકાશમાં આવે તે.


(૭) વધુ સાક્ષી પુરાવા રજુ રાખવાનો આમારો હક અબાધિત રાખીએ છીએ.


(૮) આ કામના તમામા આરોપીઓ સરકારી અધિકારીઓ છે પણ બે છોકરીઓને પોલીસ સ્ટેશનમાં તથા હોટલમાં બે દિવસ સુધી ગેરકાયદેસર રીતે બંધક બનાવીને રાખવી કે પછી ખોટી કબુલાતો આપવા માટે લાલચ અને ધમકીઓ આપવી કે જયુરીશડીકશન બહારના ગુન્હા માટે પુછપરછ કરી અને મોબાઈલ ગેરકાયદેસર રીતે કોઈપણ જાતના પંચનામા વિના કબજે લેવા તે તેમની ફરજનો ભાગ નથી માટે કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંત મુજબ હાલના ગુનહાનુ કોગ્નીઝન્સ લેવા માટે સરકારની પુર્વ મંજુરીની કોઈ જરૂરીયાત ઉપસ્થીત થતી નથી આમ છતા જો આવી કોઈ મંજુરીની જરૂરીયાત ઉપસ્થિત થાય તો તે પ્રોસેસ ઈસ્યુ કરતા અગાવ લઈ શકાય જેથી હાલના સ્ટેજે મંજુરીની કોઈ જરૂરીયાત રહેતી નથી.


(૯) હાલની ફરીયાદી ઉચ્ચ હોદા ધરાવતા પોલીસ અધિકારીઓ વિરુધ્ધની હોય જો પોલીસ ધ્વારા તપાસ કરવામાં આવે તો નિષ્પક્ષ તપાસ થઈ શકે તેમ ન હોય હાલની ફરીયાદની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને આપવા અરજ છે.


(૧૦) આથી સબબ અરજ કે,

(૧) એ-ડીવીઝન પોલીસ સ્ટેશન રાજકોટ ખાતેના તાઃ ૦૫/૦૫/૨૦૨૫ના રોજના સવારે ૧૧ વાગ્યાથી લઈને રાતે ૧૨ વાગ્યા સુધીના તમામ સીસીટીવી કેમરાના ફુટેજ હાલની ઈન્કવાયરીના કામે કબજે કરવા હુકમ ફરમાવવામ અરજ છે.

(૨) સીપી ઓફીસ રાજકોટ ખાતેના તાઃ ૦૫/૦૫/૨૦૨૫ના રોજના સવારે ૧૧ વાગ્યાથી લઈને રાતે ૧૨ વાગ્યા સુધીના તમામ સીસીટીવી કેમરાના ફુટેજ જેમાં ડીસીપી બાંગરવાની ઓફીસના તમામ સીસીટીવી ફુટેજ હાલની ઈન્કવાયરીના કામે કબજે કરવા હુકમ ફરમાવવામ અરજ છે.

(૩) સુરભી હોટલ (દોશી હોસ્પીટલ, રાજકોટ)ખાતેના તાઃ ૦૫/૦૫/૨૦૨૫ના રોજના સાંજે ૫ વાગ્યાથી લઈને બીજે દિવસે તા:૦૬/૦૫/૨૦૨૫ સવારે ૯ વાગ્યા સુધીના તમામ સીસીટીવી કેમરાના ફુટેજ કબજે કરવા હુકમ ફરમાવવામ અરજ છે.

(૪) પારા ૧૦(૧) થી ૧૦(૩) સુધીના સ્થળોએ આવવા જવા માટેના તમામ રસ્તાઓ પરના તથા તે સ્થળોની બહારની બાજુ કવર કરતા આજુબાજુની દુકાનોના તથા અન્ય જગ્યાએ લાગેલ સીસીટીવી કેમેરાના તથા દોશી હોસ્પીટલમાં લાગેલ સુરભી હોટલ કવર કરતા તમામ સીસીટીવી કેમેરાના ફુટેજ કબજે કરવા હુકમ ફરમાવવામ અરજ છે.

(૫) હાલના કામે તાઃ ૦૬/૦૫/૨૦૨૫ના રોજના સવારે ૬:૦૦ વાગ્યાથી લઈને સવારે ૧૧ વાગ્યા સુધીના ભરૂડી ટોલનાકાના સીસીટીવી ફુટેજ કબજે કરવા અરજ છે.

(૬) આ કામના તમામ આરોપીઓ વિરુધ્ધની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને આપી, અમો ફરીયાદી પક્ષના પુરાવાઓ રેકર્ડ પર લઈને આ કામના આરોપીઓ વિરુધ્ધ પ્રોસેસ ઈસ્યુ કરી ફોજદારી કામ ચલાવી જેલ હવાલે કરવા અરજ છે.

(૭) આ કામના આરોપીઓ પાસેથી અમોને કરવામાં આવેલા હેરાનગતિ માટે યોગ્ય વળતર અપાવવા અરજ છે.

(૧૧) દસ્તાવેજી પુરાવા લીસ્ટ આ સાથે રજુ કરેલ છે.

(૧૨) બી.એન.એસ.એસ. કલમ ૧૯૮ પ્રમાણે હાલની ફરીયાદ ચલાવવા આપ સાહેબને હકુમત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application