કપાસના પાકમાં ચૂસીયા પ્રકારની જીવાત અને લશ્કરી ઈયળ બચવા વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું, જાણો સરકારે શું સૂચવ્યું

  • June 10, 2025 06:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર અને વાવેતરની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ખેડૂતો પોતાના પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દરેક તબક્કે ખેડૂતોની પડખે છે. રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા સમયાંતરે વિવિધ પાકની વાવણી પહેલા અને વાવેતર સમયે શું કરવું અને શું ન કરવું તે અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે. જે અંતર્ગત કપાસ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું? તે અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.​​​​​​​


કપાસમાં ચૂસીયા પ્રકારની જીવાતના વ્યવસ્થાપન માટે આટલું કરો

  1. ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનની તિરાડ કે ફાટમાં ભરાઈ રહેલા મીલીબગનું નિયંત્રણ થાય.
  2. બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુ. એસ. ૭.૫ મિલી પ્રતિ કિ.લો બીજ અથવા થાયોમીથોક્ઝામ ૭૦ ડબલ્યુ.એસ. ૨.૮ મિલી પ્રતિ કિ.લો બીજ પ્રમાણે માવજત આપી વાવણી કરવી. જેથી પાકની શરૂઆતની અવસ્થામાં ચુસિયા પ્રકારની જીવાતથી રક્ષણ મેળવી શકાય.
  3. શેઢાપાળા ઉપર ઉગતા નિંદણો ખાસ કરીને ગાડર, જંગલી ભીંડા, કોંગ્રેસ ઘાસ વગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખાડીને નાશ કરવો.
  4. ખેતરમાં ચૂસિયા જીવાતોના કુદરતી દુશ્મનોની વસ્તી વધારવા માટે ૦.૨૦ હેક્ટર વિસ્તારમાં રજકો, કેશિયા, શેના, મકાઇ અને અન્ય ફૂલ આવતા છોડ જેવી જુદી-જુદી વનસ્પતિઓનું વાવેતર કરી શકાય.
  5. કપાસમાં મોલોના અસરકારક કુદરતી નિયંત્રણ માટે પિંજર પાક તરીકે મકાઇ અને જુવારનું વાવેતર કરવું. મકાઇ તેમજ જુવારના પર્ણચક્રમાં મોલોના પરભક્ષી લેડી બર્ડ બીટલ(ડાળીયા)ની ઇયળ અને પુખ્ત ઢાલિયાની વસ્તી નભતી હોવાથી આ પિંજર પાકો પર પણ જંતુનાશક દવાનો છંટકાવ કરવો નહિ.
  6. મોલોમશી તથા તડતડિયાના જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાઈસોપા)ના ઈંડા અથવા ઈયળને હેક્ટરે ૧૦ હજારની સંખ્યામાં બે વખત છોડવી.
  7. ચૂસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે કપાસના પાકની ફરતે બે હાર મકાઈની અથવા મકાઈના ૧૦ ટકા છોડ અથવા કપાસની ૧૦ હાર પછી એક હાર મકાઈની લેવી.


કપાસમાં પાન અને જીંડવાને નુકસાન કરતી ઇયળોનું સંકલિત વ્યવસ્થાપન

  • બીટી કપાસમાં ગુલાબી ઈયળના સંકલિત વ્યવસ્થાપન માટે અગાઉ પાક પૂરો થઈ ગયા બાદ કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ, કડી અને જીંડવા ભેગા કરી તેનો નાશ કરવો.
  • શક્ય હોય તો પાકની ફેરબદલી અને દર બે વર્ષે ઊંડી ખેડ કરવી. વહેલી પાકતી, ચૂસિયા પ્રતિકારક, માન્ય બીટી શંકર જાતોના બિયારણની વાવણી તા. ૧૫ જૂનથી ૧૫ જુલાઈ સુધીમાં કરવી
  • ભારત સરકારની ગાઈડલાઈન મુજબ બીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા બીટી કપાસના બિયારણ ૪૭૫ ગ્રામમાં જ ૫ થી ૧૦ ટકા નોન બીટી અથવા રેફ્યુજીયા બિયારણ ઉમેરીને મિશ્ર પેકેટ તૈયાર કરી આપવામાં આવે છે, તેનું વાવેતર કરવું.
  • પિંજર પાક તરીકે મકાઇ, જુવાર, દિવેલા અથવા પીળા ગલગોટાનું કપાસની ૧૦ હાર પછી એક હારમાં વાવેતર કરવું અને તેની ઉપર મુકાયેલી લીલી ઇયળ, લશ્કરી ઇયળના ઈંડા તથા ઇયળોનો સમાંતરે નાશ કરવો.
  • કપાસની જીવાતોના કુદરતી દુશ્મનોની જાળવણી માટે કપાસમાં મકાઈ અથવા જુવાર અને ચોળીની ૧૦ ટકા પ્રમાણમાં છાંટ નાખવી.
  • કાબરી ઇયળના નિયંત્રણ માટે કપાસના પાકની બે હાર વચ્ચે ભીંડાનું વાવેતર કરવું.
  • પાન ખાનારી ઇયળ (લશ્કરી ઈયળ)થી પાકને બચાવવા માટે કપાસના ખેતરની ફરતે દિવેલાનું વાવેતર કરવું જેથી લશ્કરી ઇયળની માદા ફૂદીઓ દિવેલાના પાક ઉપર ઈંડા મૂકે છે. દિવેલાના છોડ પરથી આવા ઈંડા અથવા ઈયળના સમૂહને એકઠા કરી તેનો નાશ કરવો.
  • દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજી જરૂર રાખવી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News