ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં જળસંગ્રહની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. જ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણીની અછત વર્તાઈ રહી છે. જો વરસાદ વધુ સમય સુધી ખેંચાય તો સિંચાઇની તેમજ પીવાના પાણીની સમસ્યા વધુ વિકટ બનવાની પૂરતી સંભાવના છે. રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 81 જળાશયોમાં સરેરાશ માત્ર 20.60% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ પૈકી 32 જેટલા જળાશયો તો સાવ ખાલીખમ હોવાથી તેના પર આધારિત વિસ્તરોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે આગામી 15 જૂન સુધીમાં સારો વરસાદ નહીં થાય તો સમસ્યા વધુ વિકટ બનવાની સંભાવના છે.
ગામડામાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બને તો નવાઈ નહીં
રાજ્ય સરકાર દ્વારા નર્મદાના નીર ઠાલવીને પીવાના પાણીની સમસ્યા હળવી કરવાના દાવાઓ કરાઈ રહ્યા છે. પરંતુ છેવાડાના ગામડાઓ આજે પણ વરસાદ કેવો થાય છે તેના ઉપર આધાર રાખે છે. રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં આવા 32 ડેમોમાં હવે પાણી બચ્યું નથી. ત્યારે વરસાદ વધુ સમય ખેંચાય તો આ ડેમો હેઠળ આવતા ગામડામાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
દ્વારકા જિલ્લામાં તો સૌથી ઓછો 3.58% પાણીનો જથ્થો
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 81 નાના-મોટા જળાશયો આવેલા છે. જેમાં સરેરાશ 20.60% જથ્થો બચ્યો છે. તેમાં પણ દ્વારકા જિલ્લામાં તો સૌથી ઓછો 3.58% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 36.65% પાણી જળાશયોમાં ભરેલું છે. કુલ જળાશયો પૈકી 32 જળાશયો સંપૂર્ણપણે ખાલીખમ છે. જેમાં એક ટીપું પણ પાણી બચ્યું નથી, જે ઉનાળાની આકરી ગરમી અને ઓછા વરસાદની પરિસ્થિતિનો સ્પષ્ટ સંકેત આપે છે. જો ચોમાસું સામાન્ય અથવા વિલંબિત થાય તો આગામી સમયમાં આ વિસ્તારોમાં પાણીની તંગી વધુ ઘેરી બનવાની સંભાવના છે.
જિલ્લાવાર જળસંગ્રહની વર્તમાન સ્થિતિ
રાજકોટ
રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાં સરેરાશ 36.65% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ જિલ્લાના 5 મહત્વના જળાશયો, કરમાળ, વેણુ-2, ડોંડી, ખોડાપીપર અને માલગઢ ડેમનો સમાવેશ થાય છે, તે સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે. રાજકોટ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારો માટે આ સ્થિતિ ચિંતાનો વિષય છે.
મોરબી
મોરબી જિલ્લાના 10 જળાશયોમાં 18.26% પાણીનો સંગ્રહ નોંધાયો છે. જોકે, આ જિલ્લાના 4 ડેમ, જેમાં ધોડાધ્રોઇ, બંગવાડી અને મચ્છુ-2 જેવા ડેમોનો સમાવેશ થાય છે, તે પણ ખાલી છે. આનાથી મોરબીના સિરામિક ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્ર પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે.
જામનગર
જામનગર જિલ્લાનાં કુલ 21 જળાશયોમાં સરેરાશ 17.80% જળસંગ્રહ નોંધાયો છે. જિલ્લાના કુલ 21 જળાશયોમાંથી 11 જળાશયો, જેમાં આજી-4, રંગમતી, કંકાવટી, ઉંડ-2, વાડીસંગ, રૂપાવટી, સસોઈ-2 અને વગડિયાનો પાણીવિહોણા બન્યા છે. જામનગર શહેર અને દેવભૂમિ દ્વારકાના અમુક વિસ્તારો માટે આ ડેમો પાણીનો મુખ્ય સ્ત્રોત છે.
દ્વારકા
દ્વારકા જિલ્લાના 12 જળાશયોમાં માત્ર 3.58% પાણીનો સંગ્રહ છે. અહીં સાની, વર્તુ-1, ગઢકી, સોનમતી, શેઢા ભાડથરી, વેરાડી-1, સિંધણી, કાબરકા અને મીણસાર સંપૂર્ણપણે ખાલીખમ છે. આના કારણે દ્વારકા અને આસપાસના પવિત્ર યાત્રાધામોમાં પાણીની સમસ્યા વિકટ બની શકે છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના 11 જળાશયોમાં 26.53% જળસંગ્રહ નોંધાયો છે. આ જિલ્લાના 6 ડેમ, જેમાં મોરસલ, સબુરી, વિવેથીદડાળા ભોગાવો-2, ધારી અને નિભણી ડેમનો પણ સંપૂર્ણપણે ખાલી પડ્યા છે.
સૌરાષ્ટ્રનાં 5 જિલ્લાઓનાં જળાશયોનાં આંકડા દર્શાવે છે કે, સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયોમાં પાણીની ભયાવહ અછત પ્રવર્તી રહી છે. જો આગામી ચોમાસું સંતોષકારક નહીં રહે તો પીવાના પાણી, સિંચાઈ અને પશુપાલન માટે ગંભીર સંકટ ઊભું થઈ શકે છે. સ્થાનિક વહીવટી તંત્ર અને રાજ્ય સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈને ત્વરિત અને અસરકારક પગલાં લેવા અનિવાર્ય છે. પાણીના કરકસરયુક્ત ઉપયોગ અને વૈકલ્પિક વ્યવસ્થા ઉપર તાત્કાલિક ધ્યાન આપવું પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech