ખાનગી બસ પલટી જવાના અકસ્માતમાં ૯૩ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરાયો

  • June 09, 2025 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ ભાવનગર હાઈવે ઉપર સરધારના લાખાપર ગામ નજીક બાઈકચાલકને હડફેટે લઈને ખાનગી મિનિ બસ પલટી ખાઈ ગયાના ૯ વર્ષ પહેલાના ગંભીર અકસ્માતમાં જસદણના રામળિયા ગામના એક યુવાનનું મૃત્યુ અને અન્ય બે યુવાનોને ગંભીર ઈજાના કિસ્સામાં મોટર એકસીડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલ દ્વારા કુલ રૂપિયા 93.20 લાખનું વળતર એક માસમાં જ ચૂકવી દેવા વીમા કંપનીને હુકમ કર્યો છે.

આ અંગેની હકીકત મુજબ, ગત તા: ૧૪-૮-૨૦૧૬ના રોજ ખાનગી મિનિ બસ જી.જે.- ૧૦- વી- ૦૯૪૧ સવારના સરધારના લાખાપર ગામ પાસે પસાર થતી હતી ત્યારે બસના ચાલકે રસ્તા પર જઇ રહેલા એક મો.સા. ચાલકને હડફેટે લઇ પોતાની બસને પલ્ટી મરાવી દઇ જસદણ તાલુકાના રામળિયા ગામના ખોડાભાઈ ચનાભાઇ કંબોયાનું મોત થયું હતું, જ્યારે રામળીયા ગામના હિતેશભાઈ સુરેશભાઈ ગોંડલીયાને મગજમાં જીવલેણ ઇજા, ડાબી આંખ ગુમાવી દીધેલ અને નવઘણભાઇ જેન્તીભાઈ કંબોયાને બન્ને પગમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેમાં મૃત્યુ પામનાર ખોડાભાઈના વારસદારોએ તથા ઇજાઓ બંને હિતેશ ગોંડલીયા અને નવઘણ કંબોયાએ રાજકોટની કોર્ટમાં ક્લેઇમ કેસો દાખલ કર્યા હતા. જેમાં એચડીએફસી વીમા કંપનીએ મોટો વાંધો એવો લીધો હતો કે બસના માલીક દેવશીભાઇ પોલાભાઈ મોરીએ ડ્રાઇવર બદલાવેલ છે, જે ડ્રાઇવર હતા તેની પાસે લાયસન્સ ન હતું, તેવો તેથી વીમા કંપનીએ વળતર ન ચુકવવા માટે ભારપૂર્વક રજૂઆતો કરી હતી, પરંતુ ઇજાગ્રસ્તો હિતેશભાઈ તથા નવઘણભાઈએ ડ્રાયવરને ઓળખતા નથી તેવી જુબાની આપેલ, તેથી ડ્રાયવર બદલાવેલ છે કેમ તેનો પ્રશ્ન ઉભો રહેતો નથી, તેમજ અરજદારના વકીલ દ્વારા હિતેશભાઈને મગજનું ડીસએબીલીટી કાઢી આપનાર ડો. દિનેશ ગજેરા કે જેઓ સ્ટર્લિંગ હોસ્પિટલ હોસ્પિટલમાં લોકોને સારી સારવાર તો આપે છે, તેમણે કોર્ટમાં હાજર રહી સચોટ અને સત્ય જુબાની આપી હતી, આમ અરજદારના વકીલની ધારદાર દલીલ તથા રજુઆતોને ધ્યાનમાં લઈ રાજકોટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે બસની વીમા કં. એચ.ડી.એફ.સી. ઇન્સ્યોરન્સ સામે હિતેશભાઈ સુરેશભાઈ ગોંડલીયા કે જેમણે એક આંખ ગુમાવી છે તેમને ૪૧.૭૦ લાખ, નવઘણભાઇને બંને પગે ગંભીર ઇજાનું રૂ. ૧૫.૫૦ લાખ તેમજ ગુજરનાર ખોડાભાઈ કંબોયાના વારસદારોને રૂ. ૩૬ લાખ વળતર માસ ૧માં ચુકવી આપવા હુકમ ફરમાવતા વીમા કં.એ તમામ રકમ અપીલ કર્યા વિના કોર્ટમાં જમા કરાવી દીધી છે. આ કામમાં અરજદારો વતી રાજકોટના કલેઈમ ક્ષેત્રના ગોહિલ એસોસિયેટ્સના વકીલ શ્યામ જે. ગોહિલ, હીરેન જે.ગોહિલ, મૃદુલા ગોહિલ, પુનીતા પટેલ(વેકરીયા), દીવ્યેશ કણજારીયા, અશોક લુભાણી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News