સોનમ બેવફા નીકળી... મેઘાલયમાં સોપારી આપીને પતિ રાજાની હત્યા કરાવી, 16 દિવસથી ગુમ પત્ની યુપીના ગાઝીપુરના ધાબા પર મળી આવી

  • June 09, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે પત્ની સોનમ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મેઘાલય ડીજીપીએ કહ્યું કે રાજા રઘુવંશીની હત્યા કરવા માટે હત્યારાઓને રાખવામાં આવ્યા હતા.

ડીજીપી આઈ નોંગરાંગે જણાવ્યું હતું કે, "એક આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બે અન્ય આરોપીઓની એસઆઈટી દ્વારા ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી." તેમણે વધુમાં કહ્યું, "સોનમે ઉત્તર પ્રદેશના નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી." જયારે સોનમ ધાબા પર મળી ત્યારે પૂરી હોશમાં નહોતી.


ટૂર ગાઇડે બાતમી આપી

શનિવારે એક ટૂર ગાઇડે જણાવ્યું હતું કે ઇન્દોરના હનીમૂન કપલ રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ સાથ, મેઘાલયના સોહરા વિસ્તારમાંથી ગુમ થયા તે દિવસે અન્ય ત્રણ લોકો પણ હાજર હતા. એક અધિકારીએ પુષ્ટિ આપી કે ગાઇડે આ માહિતી પોલીસને આપી હતી.


મેઘાલયના મુખ્યમંત્રીએ ટ્વિટ કર્યું

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ ટ્વીટ કર્યું છે કે મેઘાલય પોલીસને ઇન્દોર રાજા હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. આ કેસમાં, મધ્યપ્રદેશના ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે, મહિલાએ આત્મસમર્પણ કર્યું છે અને બીજા હુમલાખોરની ધરપકડ કરવાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે.


સમગ્ર બનાવ શું છે?

ઇન્દોરનું આ કપલ ૧૧ મે ૨૦૨૫ના રોજ લગ્ન કર્યા બાદ હનીમૂન માટે શિલોંગ ગયું હતું. તેઓ ૨૦ મેના રોજ મેઘાલય પહોંચ્યા અને ૨૩ મેના રોજ તેમના પરિવાર સાથે છેલ્લી વાર વાત કરી. આ પછી, બંનેના ફોન બંધ થઈ ગયા.


રાજા રઘુવંશીનો સડેલો મૃતદેહ મળી આવ્યો હતો

આ દંપતીનું ભાડે રાખેલ સ્કૂટર સોહરારિમ વિસ્તારમાં ત્યજી દેવાયેલુ મળી આવ્યું હતું. ત્યારબાદ 2 જૂનના રોજ, રાજા રઘુવંશીનો સડેલો મૃતદેહ વેઈ સોડોંગ ધોધ પાસેના ખાડામાંથી મળી આવ્યો. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો. તેની પત્ની સોનમનો કોઈ પત્તો નહોતો, જેના કારણે પરિવારને શંકા ગઈ કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે અથવા તેની તસ્કરી કરવામાં આવી છે.


ત્યારથી પોલીસ સોનમને શોધી રહી હતી

ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીએ ૧૧ મેના રોજ સોનમ રઘુવંશી સાથે લગ્ન કર્યા હતા. રાજાનો મૃતદેહ મળ્યો ત્યારથી પોલીસ સોનમને શોધી રહી હતી. હવે ગાઝીપુરમાં સોનમ મળ્યા બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શિલોંગમાં આ દંપતીનું શું થયું અને રાજાનું મૃત્યુ કેવી રીતે થયું તે ટૂંક સમયમાં જાણી શકાશે.


સોનમ રાત્રે 1 વાગ્યે ઢાબા પર પહોંચી ગઈ 

ગાઝીપુરના ઢાબાના માલિકે જ્યાં સોનમ મળી આવી હતી, તેણે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સોનમ રાત્રે 1 વાગ્યે ઢાબા પર પહોંચી ગઈ હતી. તેણે ફોન માંગ્યો અને ઘરે વાત કરી અને પછી પોલીસ આવી. ત્યારબાદ પોલીસ તેને લઈ ગઈ.


સોનમના પિતાએ સીબીઆઈ તપાસ માગી

આ બધા વચ્ચે, સોનમના પિતા દેવી સિંહ રઘુવંશીએ કહ્યું કે મારી પુત્રી નિર્દોષ છે અને પોલીસ ખોટા નિવેદનો આપી રહી છે. આ મામલાની સીબીઆઈ તપાસની માંગ કરતા સોનમ રઘુવંશીના પિતાએ કહ્યું કે મેઘાલય પોલીસ પોતે જ ફસાઈ રહી છે. મારી દીકરીને ફસાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News