પેપર ખોલાવનારાઓનુ પરિણામ બોર્ડે વેબસાઈટ પર મૂકી દીધું: રૂબરૂ જવાબ નહી મળે

  • June 10, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુણ ચકાસણી, ઉત્તરવહી અવલોકન અને ઓએમઆર કોપી મેળવવા અરજી કરનારાઓએ 14 જૂન સુધીમાં પોતાનું પરિણામ જોઈ લેવું પડશે


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10,ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરાયા પછી ગુણ ચકાસણી, ઉત્તરવહી અવલોકન અને ઓએમઆર કોપી મેળવવા માટે મોટા પ્રમાણમાં અરજીઓ કરવામાં આવી હતી. અત્યાર સુધી વિદ્યાર્થીઓની આવી અરજી બાબતે રૂબરૂમાં બોલાવી પરિણામમાં સુધારો થયો છે કે નહીં તેની માહિતી આપવામાં આવતી હતી. પરંતુ આ વખતે બોર્ડે આ તમામ માહિતી ઓનલાઇન પોતાની વેબસાઈટ પર જાહેર કરી છે.

બોર્ડે વેબસાઈટ પર જાહેર કરેલી આ માહિતી ઓનલાઇન અન્ય કોઈ વ્યક્તિ જોઈ નહીં શકે. પરંતુ અરજી કરનાર વિદ્યાર્થી પોતાની અરજીની વિગતો જેવી કે બેઠક નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગીન થશે ત્યારબાદ જ પરિણામ જોઈ શકાશે અને આવા પરિણામ ડાઉનલોડ પણ કરી શકાશે.

બોર્ડના પરીક્ષા વિભાગના નાયબનિયામકના જણાવ્યા મુજબ આ સમગ્ર બાબત ઓનલાઇન વેબસાઈટ પર મૂકી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓ તારીખ 14 જૂન સુધીમાં ઓનલાઇન આ વિગત જોઈ શકશે અને ડાઉનલોડ કરી શકશે.

જે વિદ્યાર્થીઓના પરિણામમાં અવલોકન અને ગુણ ચકાસણી બાદ સુધારો થયેલ હોય તે વિદ્યાર્થીઓના સુધારેલા નવા ગુણપત્રક અને પ્રમાણપત્ર જે તે શાળાઓને મોકલી આપવામાં આવશે. શાળાઓએ તેનું વિતરણ વિદ્યાર્થીઓને શક્ય તેટલી ઝડપે કરી દેવાનું રહેશે અને જ્યારે સુધારેલા ગુણપત્રક અને પ્રમાણપત્ર આપવામાં આવે ત્યારે જે તે વિદ્યાર્થી પાસેથી અગાઉના ગુણપત્રક અને પ્રમાણપત્ર પરત મેળવીને બોર્ડની કચેરીમાં જમા કરાવવાના રહેશે.

બોર્ડે ગુણ ચકાસણી રિપોર્ટ અને ઓએમઆર કોપી તથા વેરિફિકેશન રિપોર્ટ માત્ર ઓનલાઇન માધ્યમથી જ મૂક્યો છે અને તે ઓનલાઇન ડાઉનલોડ કરવાનો રહેશે. શાળા કે વિદ્યાર્થીઓને જવાબ ટપાલ દ્વારા પણ મોકલવામાં આવશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application