મોઢવાડાની વી.જી. કારીયા હાઇસ્કૂલ બોર્ડના પરિણામમાં રહી અગ્રેસર

  • June 10, 2025 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના બરડા પંથકના મોઢવાડા ગામની વી.જી. કારીયા હાઇસ્કૂલનું બોર્ડનું પરિણામ સર્વશ્રેષ્ઠ આવ્યુ છે ત્યારે મહત્વની વાત એ છેકે જ્યારે શિક્ષણનું ખૂબજ ઓછું પ્રમાણ હતુ ત્યારે ૬૪ વર્ષ પહેલા ઇ.સ. ૧૯૬૧માં બરડા વિસ્તારની સ્થપાયેલી પ્રથમ હાઇસ્કૂલમાં આજે પણ શ્રેષ્ઠ શિક્ષણ અપાઇ રહ્યુ છે. 
મોઢવાડા ગામની સ્વ. વલ્લભદાસ ગોરધનદાસ કારીયા હાઇસ્કૂલ પોરબંદર તાલુકાના બરડા વિસ્તારની પ્રથમ હાઇસ્કૂલ છે. જેની સ્થાપના ૧૯૬૧માં  મોઢવાડા ગામના તત્કાલીન સરપંચ સ્વ. જીવાભાઇ કાળાભાઇ ઓડેદરા દ્વારા કરવામાં આવી હતી. મોઢવાડા ગામના પનોતા પુત્ર અને કેન્યા સ્થિત ઉદ્યોગપતિ સ્વ. વી.જી. કારીયાના માતબર અનુદાનથી તે જમાનાનું સારું કહી શકાય તેવું બિલ્ડીંગ બનાવવામાં આવ્યુ હતુ. ત્યારની પેઢીના બરડા વિસ્તારના અને અન્ય વિસ્તારના મોટાભાગના વિદ્યાર્થીઓએ હાઇસ્કૂલ કક્ષાનું શિક્ષણ મોઢવાડામાં લઇને અત્યારે ધંધા, રોજગાર અને વિદેશમાં સ્થાયી થઇને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને આજના દિવસે પણ તેઓ મોઢવાડા ગામના વિદ્યાર્થીકાળના ઘડતરને જીવનનો શ્રેષ્ઠ સમય ગણાવે છે. વોલીબોલ, ખોખો, કબડ્ડી, બરછાફેંક, રનીંગ જેવી રમતો દ્વારા શારીરિક ઘતર ખૂબજ કરવામાં આવતુ હતુ.
તે સમયમાં લેજીમ, ડંબેશ જેવી રમતો પણ નિયમિત રીતે વિદ્યાર્થીઓને રમાડવામાં આવતી હતી. કલ્ચરક્ષેત્રે પણ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ તેમની આગવી ઓળખ આખા વિસ્તારમાં ઉભી કરી હતી. 
તે સમયમાં  ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીના રોજ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા  ભજવાતા નાટકો જોવા માટે આજુબાજુના ગામમાંથી લોકો ગાડા જોડીને આવતા હતા. એ સમયમાં ગામમાં મહાજનની સંખ્યા પણ ખૂબજ મોટી હતી. ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ સમયમાં મોટા તહેવારની જેમ ગામમાં ઉજવાતા હતા. એ સમયમાં ગામના વેપારીઓ અન્ય સક્ષમ લોકો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને અને અન્ય સિધ્ધિઓ મેળવનારને પ્રોત્સાહન ‚પે ઇનામ પણ આપવામાં આવતા હતા.
તત્કાલીન સરપંચ સ્વ. જીવાભાઇ ઓડદરા ખુદ પોતે હાઇસ્કૂલ અને પ્રાથમિક શાળાનું મોનીટરીંગ કરતા હતા. તે વખતે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન અને તાલુકા ખરીદ વેચાણ સંઘની સ્થાપના પણ સ્વ. જીવાભાઇએ કરેલ હતી અને જુનાગઢ જિલ્લામાં સહકારી આગેવાન તરીકે અને શિક્ષણના માણસ તરીકેની તે આગવી ઓળખ તેમણે ઉભી કરી હતી.
૧૯૯૭માં વી.જી. કારીયા હાઇસ્કૂલ ગ્રામ પંચાયત સંચાલિત હતી. ૧૯૯૭ મોઢવાડા ગામના તત્કાલીન સરપંચ મસરીભાઇ મોઢવાડીયાએ ઠરાવ કરીને મોઢવાડા કેળવણી મંડળને વહીવટ સોંપવા માટેનો ઠરાવ કર્યો હતો. અને સમસ્ત ગામના લોકો દ્વારા પ્રમુખ તરીકે રામદેવભાઇ મઢવાડીયા અને મંત્રી તરીકે પરબતભાઇ મોઢવાડીયા નિયુકત થયા હતા અને ટ્રસ્ટી તરીકે મોહન ભગવાનજી થાનકી, દેવશીભાઇ સીસોદીયા, પોલાભાઇ કારાભાઇ મોઢવાડીયા અને પોપટભાઇ મોઢવાડીયા, વણઘાભાઇ મોઢવાડીયાને ટ્રસ્ટી તરીકે નિયુકત કર્યા હતા. તે પછી અત્યારે સંચાલન મોઢવાડા કેળવણી મંડળ દ્વારા થઇ રહેલ છે. આ વર્ષે મોઢવાડા હાઇસ્કૂલનું ધો. ૧૨નું પરિણામ ૧૦૦% જેટલુ આવ્યુ છે. જ્યારે ધોરણ ૧૦નું પરિણામ ૬૮.૭૨% જેટલુ આવેલ છે.
સુંદર પરિણામ લઇ આવવા બદલ વિદ્યાર્થીઓને મોઢવાડા કેળવણીમંડળના પ્રમુખ રામદેવભાઇ મોઢવાડીયા અને ટ્રસ્ટીગણે અભિનંદન પાઠવ્યા હતા. અને હાઇસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય મનોજભાઇ મોઢવાડીયા અને તેમની ટીમના શિક્ષકોને પણ અભિનંદન પાઠવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application