ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની ફાઇનલ મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર, સાંજે 7:30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
આ વર્ષે એવી ટીમ ચેમ્પિયન બનશે જેણે પહેલા ક્યારેય ટ્રોફી જીતી નથી, કારણ કે એક તરફ છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને બીજી તરફ પંજાબ કિંગ્સ. આરસીબી ટીમ કુલ 3 વખત આઈપીએલ ફાઇનલમાં પહોંચી છે, જ્યારે પંજાબની ટીમ ફક્ત એક જ વાર ફાઇનલમાં પ્રવેશી હતી.
આવી સ્થિતિમાં બંને ટીમો પહેલી વાર ચેમ્પિયન બનવાની કોશિશ કરી રહી છે. આ રોમાંચક મેચનો વિજેતા આઈપીએલ 2025 ટ્રોફી ઉપાડશે. આઈપીએલના ઈતિહાસમાં આ બંને ટીમો વચ્ચે કુલ 36 વખત મેચ થઈ અને રોમાંચક વાત એ છે કે બંને ટીમોએ 18-18 મેચો જીતી છે.
આરસીબીના કેપ્ટન રજત પાટીદાર તથા પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર વચ્ચે આઈપીએલ પહેલા પણ ફાઈનલ મેચમાં મુકાબલોમાં થઈ ચૂક્યો છે. છ મહિના પહેલા જ ડિસેમ્બર મહિનામાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ બંને ખેલાડીઓ કેપ્ટન તરીકે ફાઈનલ મેચમાં સામસામે હતા. રજત પાટીદાર મધ્ય પ્રદેશ તો શ્રેયસ અય્યર મુંબઈનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે સમયે શ્રેયસ અય્યરની ટીમને જીત હાંસલ થઈ હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે ખૂબ જ અનુકૂળ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે ખૂબ જ અનુકૂળ રહી છે. જેમ કે આઈપીએલ 2025 ક્વોલિફાયર-2 માં જોવા મળ્યું હતું, જ્યાં મુંબઈ અને પંજાબ બંને ટીમોએ 200 રન બનાવ્યા હતા. મુંબઈએ 203 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19મી ઓવરમાં સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું. હવે અંતિમ મેચમાં પણ હાઇ-સ્કોરિંગ મેચ જોવા મળે તેવી અપેક્ષાઓ છે. ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે, કારણ કે આ પિચ પર રન ચેઝ ખૂબ ફાયદાકારક રહ્યો છે.
પાર્કિંગ માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ
મેચ જોવા આવનારા લોકોને હાલાકી ના ભોગવવી પડે અને પાર્કિંગની સુવિધા સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી શો માય પાર્કિંગ દ્વારા પાર્કિંગ વ્યવસ્થાને અનુકૂળ બનાવવા નવીનતમ ટેકનોલોજી અપનાવવામાં આવી છે. મેચ જોવા આવનાર લોકો શો માય પાર્કિંગ એપ એપના ઉપયોગથી પાર્કિંગ સ્લોટ સરળતાથી બુક કરાવી શકશે.
4 હજારથી વધુ પોલીસ અધિકારીઓ તૈનાત
પંજાબ-બેંગલુરુ વચ્ચેની મેચ માટે ઓનલાઇન ટિકિટોમાં 45 હજારનું વેઇટિંગ જોવા મળ્યું હતું. આઈપીએલ ફાઇનલ મેચમાં 1 લાખ કરતાં પણ વધારે પ્રેક્ષકો મોદી સ્ટેડિયમમાં આવશે, જેને ધ્યાનમાં રાખી શહેર પોલીસના 4 હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ તૈનાત રહેશે. વર્લ્ડ કપની ફાઇનલ સહિતની 2 મેચમાં 2 વ્યક્તિ પોલીસનું સુરક્ષા કવચ તોડી ખેલાડી સુધી પહોંચી ગયા હતા, જેનું ફાઇનલ મેચમાં પુનરાવર્તન ન થાય તે માટે ફિલ્ડ ઓફ પીચ ઓફિસર તરીકે ક્રાઇમ બ્રાંચના ડીસીપી 140 પોલીસ કર્મચારી સાથે પીચની ફરતે બંદોબસ્ત કરશે.
સ્ટેડિયમની ફરતે 5 લેયર સિક્યોરિટી
સ્ટેડિયમની બહારના રોડ પર પોલીસે બેરિકેડ કરીને રસ્તા બંધ કરી દેશે. સ્ટેડિયમના ગેટની બહાર ટિકિટ ચેક કર્યા બાદ જ અંદર એન્ટ્રી મળશે. ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરથી ચેક કર્યા બાદ આગળ જવા દેવામાં આવશે. ટિકિટનો બાર કોડ સ્કેન કર્યા બાદ જ ડોર ખુલશે અને પ્રેક્ષક અંદર જઈ શકશે. સ્ટેડિયમની અંદર ખુરશી પર બેસતા પહેલાં પણ પોલીસ ટિકિટ ચેક કરશે.
ઓપરેશન સિંદૂરની થીમ પર લાઇટ શો
આઈપીએલની ફાઇનલ મેચમાં ઓપરેશન સિંદૂરની થીમ પર લાઇટ શો યોજાશે. મેચ શરૂ થતાં પહેલાં અને બે ઇનિંગ વચ્ચેના સમયમાં એક મ્યુઝિકલ પ્રોગ્રામ થશે. બોર્ડ સેક્રેટરી દેવજિત સૈકિયાએ જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની ઉજવણી કરવા માટે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ સહિત અન્ય સર્વિસ ચીફ્સ, અધિકારીઓ અને સૈનિકોને અમદાવાદમાં IPLની ફાઇનલ મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ફ્લાઇટના ભાડા લગભગ ડબલ થઈ ગયા
મેચને જોવા માટે દેશ-દુનિયામાંથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ આવી રહ્યા છે ત્યારે મુંબઈ, પુણે, બેંગલુરુથી અમદાવાદ આવતી ફ્લાઇટના ભાડા પણ લગભગ ડબલ થઈ ગયા છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચંડીગઢ, અમૃતસરથી આવનારી ફ્લાઇટોનાં વન-વે ફેર પણ વધીને 15 હજારથી 26 હજાર સુધી થઈ ગયાં છે, જે સામાન્ય દિવસોમાં 3 હજારથી 7 હજાર હોય છે.
પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ-11
પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વઢેરા, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, કાઈલ જેમિસન, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
બેંગલુરુની સંભવિત પ્લેઇંગ-11
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech